વલસાડના પારનેરા પારડી ગામે આવેલા શ્રી હનુમાનજી મંદિરમાં માનસિક દિવ્યાંગ વ્યક્તિ નગ્ન અવસ્થામાં ઘૂસી કાચની તોડફોડ કરીઃ સ્થાનિક લોકોએ મહામહેનતે કાબુમાં લઇ કપડા પહેરાવી દોરડાથી બાંધ્યો
વલસાડઃ માનસિક દિવ્યાંગ વ્યક્તિ નગ્ન હાલતમાં મંદિરમાં પહોંચી જતા દોડધામ મચી ગઇ હતી. અંતે મહામહેનતે લોકોએ તેને કપડા પહેરાવીને સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યો હતો.
પારનેરાપારડીના શ્રી સંકટહરણ હનુમાનજી મંદિરમાં માનસિક રીતે દિવ્યાંગ ઇસમ નગ્ન અવસ્થામાં દોડી આવીને મંદિરમાં પ્રવેશી ગયો હતો, જે બાદ લોખંડનો સળિયો લઇ મંદિરમાં સ્થાપિત શ્રી હનુમાનજીની મૂર્તિ પાસે બેસાડવામાં આવેલી કાચની તોડફોડ કરી દીધી હતી. જેને કારણે સ્થાનિક રહીશો અને તે સમયે હાજર લોકો સ્થળ પર દોડી આવી તોફાને ચઢેલા ઇસમને યેનકેન પ્રકારે કાબુમાં લઇ, પ્રથમ તેને એક કપડાથી ઢાંકી દીધા બાદ દોરડાથી બાંધી દીધો હતો.
બીજી તરફ, કોઈક વ્યક્તિએ મંદિર પરિસરમાં આત્મવિલોપન કર્યું હોવાના મેસેજ મળતા જ, રૃરલ પોલીસ મથકના પીએસઆઇ એ. કે. દેસાઈ, હે.કો. પ્રશાંત અને પો.કો. કાંતિભાઈ સ્થળ પર દોડી ગયા હતા. માનસિક દિવ્યાંગ વ્યક્તિ પહેલેથી જ દાઝેલી હાલતમાં હોવાનું સ્થાનિક રહીશોએ જણાવતા, પોલીસે રાહતનો દમ લીધો હતો. પોલીસે માનસિક રીતે બિમાર વ્યક્તિને ખાનગી વાહનમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પારનેરાપારડીના શ્રી હનુમાનજી મંદિરમાં ઘૂસી જનાર માનસિક દિવ્યાંગ વ્યક્તિને વાપી વિસ્તારમાં દાઝેલી હાલતમાં સારવાર માટે ૪ માસ પહેલા ૧૦૮-એમ્બ્યુલન્સમાં લઇ જવાઇ રહ્યો હતો. જે દરમિયાન તે વ્યક્તિ ૧૦૮-એમ્બ્યુલન્સના કાચ તોડીને ફરાર થઇ ગયો હતો. જે બાબતે ૧૦૮-એમ્બ્યુલન્સના ફરજ પરના કર્મચારીઓએ ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળે છે.