શ્રીમતી મણીબેન ત્રિભોવનદાસ પટેલ ગ્રામ પંચાયત કચેરી, મોખાસણનું ૪૦ લાખ ઉપરાંતની લાગતથી બનાવેલ નૂતન મકાનનું લોકાર્પણ : વૃક્ષારોપણ
અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિય-દાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રીમતી મણિબેન ત્રિભોવનદાસ પટેલ ગ્રામ પચાયત કચેરી, મોખાસણનું શ્રી અરવિંદભાઇ (રાજભોગ, અમેરિકા) પટેલ, શ્રી બળદેવભાઇ પટેલ (અમેરિકા)ના ૪૦ લાખના માતબર દાનથી બનાવેલ નૂતન મકાનનું લોકાર્પણ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત, સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહંત સદ્ગુરૂશ્રી ભાવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સર્ર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જણાવ્યું છે તેમ સેવાથી, ધર્મથી અને સમાજ સેવાથી ગ્રામોત્થાન થાય છે અને ત્યાર પછીથી રાષ્ટ્રનું ઉત્થાન થાય છે. સમાજમાં નાતજાતના ભેદભાવ રાખ્યા નથી. જગતની ચોર વર્ણ માટે ઉમદા કાર્યો કર્યા છે. જેમ અહંકાર અને લોભ એ ખતરનાક વાયરસ છે. અને તેને નાથવાની ફોર્મ્યુલા છે. સત્સંગ.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ગટર, પાણી, રોડ, વાડી, તળાવ, સ્મશાન, વ્યસનમુકિત કેન્દ્ર તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ ગ્રામોત્થાન માટે યોજયા છે.
આ પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત કચેરી ના નૂતન મકાન બનાવવાનો દાવનો સહયોગ શ્રી અરવિંદભાઇ પટેલ તથા બળદેવભાઇ પટેલે આપ્યો છે. તેઓ પોતાના વતન પ્રેમને ભુલ્યા નથી અને સમાજના વિકાસના કાર્યમાં સહભાગી થયા છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓએ પણ વિકાસના કાર્યોમાં સહયોગ આપ્યો છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આર્શિવાદ સૌની ઉપર ઉતરે અને સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી પ્રગતિ સાધી શકીએ.
નાયબ મુખ્યમંત્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા સંતવૃદ દ્વારા મહાપૂજા કરાઇ હતી.
કાર્યક્રમમાં શ્રી ડી.ડી. પટેલ, ચેરમેન પોલીસ હાઉસીંગ, શ્રી સી.કે. પટેલ, ચેરમેન વિશ્વ ગુજરાત સમાજ, શ્રી અરવિંદભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી અનિલભાઇ પટેલ, સરપંચ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.