ગુજરાત
News of Sunday, 24th January 2021

૫૦ વર્ષની લડાઈ બાદ અંતે વિધવાને પતિની જમીન મળી

આખરે જીત મળી અને મહેનત રંગ લાવી : ૭૩ વર્ષીય ખેડા જિલ્લાના નડિયાદના વિધવા દાદીમાને તેમના પતિના હકની ૪૩ વીઘા જમીનનો વારસો મળ્યો

અમદાવાદ, તા. ૨૪ : આશરે ૫ દાયકા સુધી પોતાના હકની લડાઈ લડ્યા બાદ આખરે ૭૩ વર્ષની ઉંમરે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વિધવા દાદીમાને તેમના પતિના હકની ૪૩ વીઘા જમીનનો વારસો મળ્યો છે. પતિના મોત બાદ તેના ભાઈએ વિધવાના ભાગે આવતી ૪૩ વીઘા જમીન પચાવી લીધી હતી. જેને મેળવવા માટે તેમણે જીવવના પાંચ દાયકા એટલે કે ૫૦ વર્ષ જેટલો સમય સંઘર્ષમાં કાઢી નાખ્યો આખરે તેમને જીત મળી અને મહેનત રંગ લાવી.

પોતાના હકની લડાઈ લડી રહેલી આ મહિલાએ તેની સાથે થયેલી છેતરપિંડીના પુરાવા ભેગા કર્યા અને સત્તાધીશો સમક્ષ રજૂ કર્યા હતા. જે બાદ પોલીસને આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવા માટે ફરિયાદ નોંધવા સક્ષમ સત્તાધીકારી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

૭૩ વર્ષના લીલા બેનના લગ્ન નડિયાદ જિલ્લાના ખેડા તાલુકાના અરેરા ગામના સંપતસિંહ મહિધા સાથે થયા હતા. જોકે લગ્નના એક વર્ષ પછી જ બીમારીના કારણે પતિ સંપતસિંહનું મોત થતા લીલાબેન પોતાના માતા-પિતા પાસે ચાલ્યા ગયા હતા અને યુવા વિધવા સ્ત્રી તરીકેનું જીવન જીવતા હતા. કારણે કે તેમના સમાજમાં વિધવા મહિલાના પુનર્વિવાહ વર્જીત હોવાથી તેઓ આજીવન સંપતસિંહના વિધવા તરીકે જ જીવ્યા હતા.

૧૯૬૮ દરમિયાન પોતાના માતા પિતાના ઘરે રહેવા દરમિયાન તેમને જાણમાં આવ્યું કે તેમના પતિને અરેરામાં જ પૈતૃક જમીન છે અને તેના પતિના મોત પછી પત્ની તરીકે આ જમીન તેમને વારસમાં મળે છે. જોકે જ્યારે તેમણે પોતાના દીયર મહિપતસિંહને આ અંગે પૂછ્યું તો ૧૫ વ્યક્તિઓના પરિવારમાં તેમના પતિ પછી દીયર બીજા નંબરનો પુરુષ ઉત્તરાધિકારી હતો. જોકે તેમને આ મામલે મહિપતસિંહે ગોળગોળ જવાબ આપતા મહિલાની શંકા વધી હતી.જે બાદ મહિલાએ પોતાની રીતે જ તપાસ શરું કરી હતી. મહિલાએ ગામના જ અન્ય લોકો પાસેથી જમીનના લોકેશનની તપાસ કરી કેટલી જમીન છે તેની તપાસ કરાવી. આ દરમિયાન પોતાના હક માટે લડવાનો મક્કમ નિર્ધાર કરીને મહિલાએ સરકારે ઓફિસોની તપાસ કરી જ્યાંથી પોતે પતિના ભાગની જમીન અંગેની વિગતો મેળવી શકે. તો બીજી તરફ મહિપતસિંહના પરિવારમાંથી બીજા પણ સભ્યો જમીનના વારસદાર બાળકો વગર જ મૃત્યુ પામ્યા.

આશરે ચાર દાયકા સુધી પ્રયાસ કર્યા બાદ મહિલાને અંતે જમીન અંગેના ડોક્યુમેન્ટ મામલતદાર પાસેથી મેળવ્યા હતા જેમાં દર્શાવ્યું હતું કે તેમનો દીયર પતિના ભાગની તમામ ૪૩ વીઘા જમીનનો માલીક હતો. જ્યારે તેણે આ જમીન પોતાના દીયરના નામે કઈ રીતે થઈ તેની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના દીયરે જમીન પચાવી પાડવા માટે ખોટું વારસા સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જેમાં ન તો તેનું નામ હતું ન પતિના મોત અંગેની જાણ કરવામાં આવી હતી.

જે બાદ તેણે ખેડા કલેક્ટરેટની ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા. જેના આધારે ટીમે ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તપાસ શરું કરી હતી અને અંતે જણાવ્યું કે મહિપતસિંહે જમીન પચાવી પાડવા માટે છેતરપિંડી આચરી હતી. જેના પછી નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલાની અરજીના આધારે મહિપતસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને લીલાબેનને આ જમીનની માલિકી આપવાની કાર્યવાહી શરું કરવામાં આવી છે.

(8:06 pm IST)