સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી : કોંગ્રેસે સીનિયર ઑબ્ઝર્વર નીમ્યા
કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને ખાસ જવાબદારી સોંપી
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ અને AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારવાની હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે. એવામાં ભાજપ અને કોંગ્રેસે પોતાની આગવી વ્યૂહરચના ઘડવી પડશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને ખાસ જવાબદારી સોંપી છે.ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાન અને સમન્વયની દેખરેખ માટે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂની સીનિયર ઑબ્ઝર્વર તરીકે વરણી કરી છે.
આ અંગે તામ્રધ્વજ સાહૂએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, માનનીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ મહત્વની જવાબદારીને હું સ્વીકારુ છે. ગુજરાત કોંગ્રેસના સાથીઓ સાથે મળીને અમે આ ચૂંટણી લડીશુ અને જીતીશું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. શહેરના નારપુરા, ગોતા, સરખેજ સહિતના 36 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.