આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેરોસીનનો પુરવઠો બંધ કરવામાં આવતા કાર્ડધારકોને હાલાકી
આણંદ:જિલ્લાના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા, રસોઇ માટે સગડી-ચુલામાં લાકડાનો ઉપયોગ કરતાં પરિવારોમાં સતત ધુમાડાને લઇને સ્વાસ્થ્ય સમસ્યા અને પર્યાવરણ સામે જોખમ તોળાઇ રહેતુ હતું.
જોકે જિલ્લામાં ૬૮૬૩ અંત્યોદય,બીપીએલ પરિવારોને છેલ્લા બે માસમાં ઉજાલા યોજના અંતર્ગત વિનામૂલ્યે ગેસબોટલ-જોડાણ આપવામા આવ્યા છે. જેને લઇને લાકડા જેવા સ્ત્રોતોની બચત ઉપરાંત પર્યાવરણની જાળવણી કરી શકાશે. કાર્ડધારકોને ગેસની સગવડ ઉપલબ્ધ થતાં તેઓને ફાળવાતો કેરોસીનનો પુરવઠો બંધ કરાશે. તેમ જાણવા મળ્યુ છે.
જિલ્લામાં અંત્યોદય-બીપીએલ કેટેગરીના કાર્ડધારકોને પાત્રતા અનુસાર એપીએલ કાર્ડધારકોની અપેક્ષાએ વધુ અનાજ, મીઠુ, ખાંડ ઉપરાંત તહેવારો દરમ્યાન ખાદ્યતેલની ફાળવણી કરવામા આવે છે.
જોકે દૈનિક રસોઇ માટે લાકડા-કેરોસીન આધારિત ચુલા-સગડીનો ઉપયોગ કરતાં અંત્યોદય-બીપીએલ ૬૮૬૩ પરિવારોને છેલ્લા બે માસમાં પ્રધાનમંત્રી ઉજાલા પાર્ટ-૨ અંતર્ગત નિઃશુલ્ક ગેસની બોટલ-કનેકશન આપવામા આવ્યુ છે. પરિણામે વર્ષની ત્રણેય ઋતુના રસોઇ માટે ચુલા-સગડીમાં વધુ માત્રામા લાકડાનો ઉપયોગ કરાતો હોવા સહિત ધુમાડાને લઇને પર્યાવરણ સામે જોખમ તોળાઇ રહેતુ હતુ. સાથોસાથ મહિલાઓના સ્વાસ્થ્ય સામે પણ પ્રશ્નાર્થો સર્જાઇ રહેતા હતા. જોક ગેસ આાધારિત બળતણથી મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળવા સહિત પર્યાવરણનુ પણ રક્ષણ કરી શકાશે.