ગુજરાત
News of Monday, 23rd November 2020

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મુલાકાતે ઝિંદાલ ગ્રૂપના ચેરમેન સાજન ઝિંદાલ

ગુજરાતમાં પોર્ટ સેક્ટરમાં રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી: મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં સરળતા અને નવી ઉદ્યોગ નિતીના સફળ અમલના પરિણામે ગુજરાતમાં રોકાણકારો માટે વ્યાપક સુવિધાથી પ્રભાવિત થઇ ઝિંદાલ ગ્રૂપ રોકાણો માટે પ્રેરિત થયું

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત ઝિંદાલ ગ્રૂપ - જે.એસ.ડબલ્યૂ.ના ચેરમેન સાજન ઝિંદાલે ગાંધીનગરમાં લીધી હતી.તેમણે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી.
  તેમણે કહ્યું કે, ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં પોતાની વ્યવસાયિક તજજ્ઞતાથી વિશ્વખ્યાત છે.
   મુખ્મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ નવી ઉદ્યોગનીતિના માધ્યમથી રોકાણકારો-ઉદ્યોગકારોને આકર્ષિત કરવાની જે સફળતા મેળવી છે તેનાથી પ્રભાવિત થઇને ઝિંદાલ ગ્રૂપ ગુજરાતમાં રોકાણો કરવા માટે ઉત્સુક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
  આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઝિંદાલ ગ્રૂપના સીઇઓ અરૂણ મહેશ્વરી તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ હેડ  દેવકીનંદન પણ જોડાયા હતા.

(6:34 pm IST)