વડોદરોમાં કોરોના સામે આરોગ્ય વિભાગની ટીમ સજ્જઃ ડોર ટુ ડોર સર્વે કરીને ૮ દિવસમાં ૧૮ લાખ લોકોની આરોગ્ય તપાસણી કરાશે
વડોદરા: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને વડોદરા શહેરમાં રાત્રી 9 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે દ્વારા કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓની નોંધ કરવામાં આવશે.
એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે, જેને લઇને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઇ છે અને રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યૂ સહિત અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રણમને અટકાવવાની કોરોના સામેની જંગમાં વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં આરોગ્ય વિભાગની 823 ટીમો ઘરે ઘરે જઈ સર્વે કરી રહી છે.
ડોર ટુ ડોર સર્વેમાં કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને શોધવામાં આવશે અને 8 દિવસમાં શહેરના 18 લાખ લોકોની તપાસ કરવામાં આવશે. આ સર્વેમાં બે સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ પાસે થર્મલ ટેમ્પરેચર ગન અને પ્લસ ઓક્સીમીટર રહશે. કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓની નોંધ કરવામાં આવી રહી છે.