કેવડીયામાં રાષ્ટ્રીય એકતાની ઉજવણીમાં પાલીકાના સફાઈ સૈનિકો મોકલતા રાજપીપળામાં રોગચાળોનો ભય
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામાં આમ પણ પહેલેથી સ્ટાફ ઓછો છે જેમાં ખાસ સફાઈ કર્મચારીઓની મોટી ઘટ હોવા છતાં હાલ કેવડીયા ખાતે આગામી 31 મીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર હોય વહીવટી તંત્રના અધિકારીઓના હુકમથી નગરપાલિકાના સફાઈ સૈનિકોને ત્યાં મોકલાતા રાજપીપળા શહેરના અમુક વોર્ડમાં સફાઈ કમદારો નહિ જતા ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ તેવો ભય જણાઈ છે.
હાલમાં ડેન્ગ્યુ,મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગના ભરડામાં લોકો સપડાયા છે તેવા સમયે ઓછા સફાઈ સૈનિકો હોવા છતાં અન્ય જગ્યાએ તેમને મોકલવાના ઓર્ડર કરતા અધિકારીઓ શુ રાજપીપળા શહેરને રોગચાળાના ભરડામાં ધકેલવા માંગે છે..? તેવા સવાલ પ્રજમાં ઉઠ્યા છે ત્યારે હાલ શહેરમાં ગંદકી વધી રહી છે, સફાઈ ની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કચરો લેવા આવતી ગાડી પણ ન આવતા લોકો માર્ગ ઉપર કચરો નાંખવા મજબુર બન્યા છે.માટે પાલીકા ના સફાઈ સૈનિકો કે વાહનોને અન્ય કાર્યક્રમો માં ન મંગાવી શહેર રોગચાળામાં ન સપડાઈ તે માટે તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ ખાસ તકેદારી રાખે તે લોકો માટે હિતવાહ છે.
જોકે આ બાબતે પાલીકા સદસ્ય પ્રેગ્નેશભાઈ રામીએ જણાવ્યું કે નગરપાલિકામાં મહેકમ ઓછું છે છતાં તંત્ર ના ઉપરી અધિકારીઓ પાલીકાના કર્મચારીઓ ને આવા કાર્યક્રમમાં મોકલવા ફરજ પાડતા હોય એ બાબત ખોટી છે જેમાં સફાઈ કામદારો બે એકતા પરેડના કાર્યક્રમ ની તૈયારી માટે બોલાવતા શહેરમાં યોગ્ય સફાઈ ન થતા રોગચાળો ફેલાવવાનો ડર છે.