એસટીએ ભાડામાં તોતિંગ સવા ગણો વધારો કરી દીધો
દિવાળીએ ફરવા જનારાઓને પડ્યા પર પાટું : આ નિર્ણય સૌરાષ્ટ્ર, પંચમહાલ અને દક્ષિણ ગુજરાત તરફ જતી બસો માટે લેવાયો જેની અસર મુસાફરો પર પડશે
અમદાવાદ , તા.૨૩ : કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતીઓએ દિવાળી પર ફરવા જવાનું મન બનાવી લીધુ છે, ત્યારે હવે લોકોને દિવાળી પર મોંઘવારીનો સામનો કરવો પડશે. પેટ્રોલ-ડીઝલ તથા અન્ય જીવન જરૂરિયાતી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે એસટીએ ભાવ વધારો જાહેર કર્યો છે.
હવે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. દિવાળીને લઈને એસટી નિગમે નિર્ણય કર્યો કે, વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. આ નિર્ણય સૌરાષ્ટ્ર, પંચમહાલ અને દક્ષિણ ગુજરાત તરફ જતી બસો માટે લેવાયો છે. આ નિર્ણયથી અસર તમામ મુસાફરોને પડશે. ખાસ કરીને એવા રત્ન કલાકારો અને મજૂર વર્ગ, જેઓ દિવાળીએ પોતાના વતન જતા હોય છે.
તેઓને પણ સવા ગણું વધુ ભાડું ચૂકવવું પડશે. જોકે, આ ભાવવધારો પણ લોકોની કમર ભાંગી નાંખશે. દિવાળીના સમયે શહેરમાં રહેતા લોકો પોતાના આખા પરિવાર સાથે વતન જતા હોય છે, જેથી આખા પરિવારને આ સવા ગણુ ભાવવધારો ચૂકવવુ પડશે. દિવાળી નિમિતે એસટી નિગમ દ્વારા વિવિધ ડિવિઝનમાં મળી ૨૫૦ વધારાની બસ મુકવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ દિવાળી સમયે મુસાફરો પાસેથી બમણું ભાડું વસુલ કરવામાં આવતું હતું. જોકે કોરોનાના કોરણે ગત વર્ષે સવા ગણું ભાડું વસુલ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ કોરોના પરિસ્થિતિ ધ્યાને રાખીને આ ભાવવધારો યથાવત રાખ્યો છે.