ભાજપ લોકોને માત્ર ઠાલા વચનો આપનાર પાર્ટી : એક પણ વચન પાળ્યું જ નથી: અર્જુન મોઢવાડિયા
રોજગારી, ખેડૂતોની આવક, ઉત્પાદનના ભાવ સહિતના વચનો પુરા કર્યા નથી
વલસાડઃ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જનતાને ઠગવાનું કામ કરનારી પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જનતાને વિવિધ વચનોની માત્ર લ્હાણી કરી છે. તેમાંથી એક પણ વચન પાળ્યું નથી બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ રોજગારી તો મળે નહીં ઉપરથી લોકડાઉન સમયમાં 2 કરોડ લોકો બેરોજગાર બન્યા છે.
બીજી તરફ ખેડૂતોને તેમના ખાતામાં 15 લાખ જમા થશે એવું પણ વચન આપ્યું હતું. તેમજ દોઢ ગણા ઉત્પાદનના ભાવ આપવાની વાત કરી હતી, પરંતુ આ બંનેમાંથી એક પણ વચન તેમણે પૂરું કર્યું નથી. સાથે સાથે ગુજરાત અને દેશની અંદર ગરીબી નાબૂદ કરવાની વાત પણ કરી હતી પરંતુ ગરીબી નાબૂદ કરવાનું તો દૂર તેઓ માત્ર ગરીબ ને જ નાબુદ કરી રહ્યા હોય એવું કેટલાક નીતિ અને નિયમોને આધારે લાગી રહ્યું છે.