ગુજરાત
News of Tuesday, 23rd October 2018

જ્વાળામુખી ફાટવા માટેની આગાહી બાદ ચર્ચાઓ શરૂ

યુવા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપની આગાહી : જ્વાળામુખી દક્ષિણ અમેરિકા અને આફ્રિકન ટેકટોનિકલ પ્લેટોની વચ્ચે અને વિષુવવૃત પરના જવાળામુખીમાં ફાટશે

અમદાવાદ,તા.૨૩ : શહેરના યુવા અને જાણીતા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે ફરી એકવાર તા.૨૬મી ઓકટોબરે જવાળામુખી ફાટવાની આગાહી કરી છે. જો કે, આ જવાળામુખી દક્ષિણ અમેરિકા અને આફ્રિકાની ટેકટોનીકલ પ્લેટ વચ્ચે અને વિષુવવૃત પરના જવાળામુખીમાં ફાટશે. તા.૨૬મી ઓકટોબરે બ્રહ્માંડમાં શુક્રનો ગ્રહ પૃથ્વીની નજીક આવશે ત્યારે તેના ગુરૂત્વાકર્ષણની ધરતી પર જયાં સુધી વધુ અસર થશે તે ઉપરોકત સ્થળે જવાળામુખી ફાટવાની શકયતા છે. જો કે, શુક્રના ગુરૂત્વાકર્ષણના કારણે ભારતમાં પણ કદાચ તેની અસર જોવાય અને ચક્રવાત, વરસાદ સહિતની અસરો વર્તાવાની શકયતા રહેલી છે. ભૂકંપ કે જવાળામુખીની આગાહી પહેલેથી કરી શકાતી નથી તેવા વૈજ્ઞાનિકોના દાવાઓને ખોટા ઠેરવતાં આ યુવા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે જણાવ્યું કે, ભૂકંપ કે જવાળામુખીની આગાહી પહેલેથી કરી શકાય છે. કારણ કે, તે બ્રહ્માંડમાં રહેલા ગ્રહોના પૃથ્વી પરના ગુરૂત્વાકર્ષણ બળ પર આધારિત છે. તા.૨૬મી ઓકટોબરે શુક્રનો મોટો ગ્રહ પૃથ્વી નજીકથી પસાર થશે અને તેના ગરૂત્વાકર્ષણના લીધે પૃથ્વી પર જવાળામુખી ફાટવા સહિતની કુદરતી આપત્તિ સર્જાવાની શકયતા છે. જેમાં આ જવાળામુખી વિસ્ફોટ વિષુવવૃત્ત ઉપરના જવાળામુખીમાં થશે. વધુ ઉંડાઇથી સમજીએ તો, આ જવાળામુખી વિસ્ફોટ અક્ષાંશ વૃત્ત માયનસ ઝીરો અંશથી ૪૦ અંશ દક્ષિણ, રેખાંશવૃત્ત માયનસ ૮૦ અંશથી પશ્ચિમથી ૬૦ અંશ પૂર્વ ભાગે થશે. જેના કારણે પૃથ્વી પર વિન્ડ બેલ્ટ પર અસાધારણ ફેરફાર નોંધાશે, ખાસ કરીને વિશ્વભરમાં વાતાવરણ-હવામાનમાં પલ્ટો, હિમવર્ષા, વીજળીઓ સાથે ચક્રવાત અને વરસાદ દેખા દેશે. ભારતમાં પણ તેની અસર વર્તાય એવું બની શકે. તા.૨૫, ૨૬ અને ૨૭ ઓકટોબર દરમ્યાન ભારતમાં હવામાનમાં પલ્ટાની સાથે હિમવર્ષા, ચક્રવાત-વાવાઝોડા અનવરસાદની શકયતા બની શકે. અગાઉ પણ તેણે જવાળામુખી અને ભૂકંપની કરેલી કેટલીક આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કર્યો હતો. તેણે અંતમાં ઉમેર્યું કે, જો જવાળામુખી અને ભૂકંપ જેવી કુદરતી આપદાની પહેલેથી જ આ રીતે જાણ થઇ જાય તો, સરકાર અને તંત્ર માટે મોટી જાનહાનિ, માલ-મિલ્કતના નુકસાનને બચાવવાના ઘણા અસરકાર પ્રયાસો થઇ શકે, જે માનવજાત માટે લાભકારી રહે.

(8:25 pm IST)