સ્મશાને જતો રથ મેડિકલ કોલેજમાં પહોંચ્યો : આજીવન ભેખધારી સેવાર્થી રમણભાઈ શર્માનું પ્રેરણારૂપ દેહદાન
ગ્રામસેવક તરીકે સરકારની 58 વર્ષ સુધી અને જીવનના શેષ 88 વર્ષ સુધી BAPS સંસ્થાના આજીવન ભેખધારી સેવાર્થી રમણકાકા મહુધાવાળાએ જાતને પણ મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્પણ કરી
અમદાવાદ : ગ્રામસેવક તરીકે સરકારની 58 વર્ષ સુધી અને જીવનના શેષ 88 વર્ષ સુધી BAPS સંસ્થાના આજીવન ભેખધારી સેવાર્થીએ સમગ્ર જીવનમાં સેવા કરી ઘસેલી જાતને પણ મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્પણ કરી સેવા અને પ્રેરણારૂપ દેહદાન નડિયાદમાં ચર્ચાના કેન્દ્રમાં છે.
મૂળ બાવળા તાલુકાના કોચરીયાના વતની અને ખેડા જિલ્લાને કર્મભૂમિ બનાવી ગ્રામસેવકની સરકારી સેવામાં નિષ્કલંક સેવા નિવૃત્તિ બાદ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના અનન્ય નિર્વ્યસની અને નીતિ નિયમો થકી સેવક બની છેલ્લા શ્વાસ સુધી સંસ્થાના સ્વયં સેવક બની પ્રમુખ સ્વામીના બનાવેલા મંદિરોમાં સેવાકીય કાર્યો થકી રમણકાકા મહુધાવાળાના નામે હરિભક્તોનો પ્રેમ સંપાદન કરવામાં સફળ નીવડ્યા હતા. એવા રમણભાઈ શર્મા આજે 87 વર્ષે પોતાના સેવા કાર્યોમાં વધુ એક મોરપીંછ ઉમેરતા અક્ષર નિવાસી થયાં છે.
સમગ્ર જીવન સેવાકીય કાર્યમાં વિતાવી અંતિમ શ્વાસે પોતાના સેવા માટે ઘસી નાખેલા શરીરને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહનું પણ દાન કયુઁ છે. પોતાના અડગ નિર્ણયથી નડિયાદના સ્મશાન ગૃહના રસ્તેથી સીધા મેડિકલ કોલેજ એન ડી દેસાઈ હોસ્પિટલમાં મોકલવાના અફર નિર્ણયને પરિવારજનોએ પૂર્ણ કર્યો હતો.
એન ડી દેસાઈ મેડિકલ કોલજ વિભાગના ડો સૈયદ દ્વારા દેહદાનને પગલે પરિવારજનોનો આભારમાની કાર્યને બિરદાવ્યું હતું. વિભાગના ડો સપના શાહ દ્વારા પણ મૃતદેહોની જરૂરિયાત જણાવી હતી. વર્ષે પંદર મૃતદેહ સામે કોરોના કાળમાં માત્ર આ બીજા દેહનું દાન આવ્યું છે અને વધુ દેહો મળે તેવા પ્રેરક કાર્યની પ્રશંસા કરી હતી અને દેહદાન માટે પ્રેરક મહુધા નવજીવન હોસ્પિટલના ડો રૂપલભાઈ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેહદાન દાતા રમણભાઈના બે પુત્રો પૈકી જિલ્લા રાજકીય વર્તુળોમાં મહત્વના મંત્રીના હોદા ધરાવતા અને નોટરી વકીલ પ્રવીણભાઈને રાજ્ય ભાજપ સંગઠન જિલ્લા સંગઠન અને કાર્યકરો અને સામાજિક સંસ્થા અને તબીબ આલમ સાથે જ્ઞાતિજનોએ સાંત્વના પાઠવી અભિનંદન સાથે કાર્યને બિરદાવ્યું હતું.