વન ટેસ્ટ, ટેસ્ટ ઓલ’ની નીતિ પ્રમાણે દરેક નાગરિકને ટેસ્ટ કરાવવા અપીલ કરતા IAS ડો, રાજીવકુમાર ગુપ્તા
માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા તેમજ યુવાનોને ટોળે વળીને નહીં બેસવા અનુરોધ
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ખાસ નિમાયેલા રાજયના અધિક મુખ્ય સચિવ (IAS) ડો. રાજીવકુમાર ગુપ્તાએ આજે પ્રજાજોગ સંદેશો પાઠવ્યો છે. જેમાં શહેરીજનોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. તેમાંય ખાસ કરીને સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે તથા રિંગ રોડ પર ટોળે વળીને બેસતાં યુવાનોને બંને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. તેની સાથે એકસાથે ખાવાનું ટાળવાની પણ સૂચન કર્યું છે.
તેમણે પ્રજાને જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી બહુઆયામી પગલાંઓ લેવામાં આવ્યા છે. તેમાં ‘ ટેસ્ટ 1 અને ટેસ્ટ ઓલ’ ની નિતિ અપનાવી છે. હાલ અમદાવાદના તમામ ઝોનમાં 100 જેટલાં ટેસ્ટિંગ કેઓસ્ક ઊભાં કરવામાં આવ્યા છે. ત્યાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સમયે જઇને ટેસ્ટ કરાવી શકે છે. તે જ રીતે 80 અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ટેસ્ટ થાય છે, દરેક વ્યકિતને ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક મેળવી શકો છો. જો તમે ટેસ્ટ ના કરાવ્યા હોય તો તમારા ઘરના બાળકો અને વૃધ્ધો સલામતિ માટે તાત્કાલિક કરાવી લેવા માટે અપિલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતુંકે, કોરોના સામેની જંગ સામે જીતવા માટે ફરજિયાત માસ્ક પહેરાવાનું તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું દેશના વડાપ્રધાન તથા મુખ્યમંત્રી દ્રારા વારંવાર કહેવામાં આવ્યું છે. છતાં અમદાવાદમાં હજુ કેટલાંક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો ખોટી રીતે માસ્ક પહેરે છે. જેથી યોગ્ય રીતે માસ્ક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમનું ચુસ્તપણે પાલન કરવા આગ્રહ રાખ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું છે કે સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે અને રીંગ રોડ પર સાંજે યુવાનો ટોળે વળીને બેસે છે. અને સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરતાં નથી. તો તેઓ તેમના માતા પિતા તથા અન્ય વયોવુધ્ધની સલામતિ માટે તેઓ માસ્ક પહેરે તથા મોટા ગ્રુપમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા અપીલ કરી છે. તેની સાથે ગુપમાં જમવાનું ટાળવા તેમણે કહ્યું છે. કોરોનાને અટકાવવા યુવાનોનો સાથ અને સહકાર ખૂબજ જરૂરી છે. જેથી અમદાવાદ શહેરીજનોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ફરી એકવાર અપીલ કરી છે.