સુરતના રાંદેર ટાઉનના સુથારવાડામાં એનઆરઆઈ મહિલાનું મકાન પચાવી પાડનાર શખ્સ સહીત સાગરીત વિરુદ્ધ ગુનો દાખલ
સુરત: શહેરનારાંદેર ટાઉન સ્થિત એમએમપી સ્કુલની સામે સુથારવાડમાં રહેતી અને ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતા ખદીજાબેન સાલેહની રહેણાંકવાળું કરોડો રૂપિયાનું હેરીટેજ કહી શકાય તેવી મિલકત પચાવવાનો કારસો ઇલ્યાસ કાપડિયા (રહે. 4-14 સુથારવાડ, રાંદેર ટાઉન) અને યુસુફ ગાડાવાલા (રહે. નાની આમલીપુરા, અમદાવાદી તવાની બાજુમાં, સુલતાનીયા જીમખાનાની સામે) નું રચ્યો હતો. ખદીજાબેનની ગેરહાજરીમાં ગત માર્ચ મહિનામાં ઇલ્યાસ કાપડિયાના ઇશારે 30થી વધુ લોકો ઘરમાં ઘુસી ગયા હતા અને કબ્જો જમાવી લીધો હતો. આ મુદ્દે ખદીજાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ જે રીતે ભૂમાફિયાઓનું ઉપરાણું લઇ કડવા પાટીદાર સમાજના આગેવાન દુર્લભ પટેલને આપઘાત કરવા મજબૂર કર્યા હતા તેવી જ રીતે રાંદેર પોલીસ સ્ટેશનના જે તે વખતના પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા અને તેમના વહીવટદાર અજય ભોપાળાએ ખદીજાબેનને ન્યાય અપાવાને બદલે ઇલ્યાસ કાપડિયાનું ઉપરાણું લઇ તેમના ખોળામાં બેસી ગયા હતા અને ખદીજાબેનને પરત ફ્રાન્સ ચાલ્યા જવા કહ્યું હતું અને તમે ખોટી ફરિયાદ કરી જબરજસ્તી ઘરમાં ઘૂસણખોરી કરવા ઇચ્છો છો એમ કહી અપમાનિત કરી કાઢી મુકયા હતા. જેથી ખદીજાબેન પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાંથી પણ તેમને ન્યાન મળ્યો ન હતો. આ પ્રકરણમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશને પગલે રાંદેર પોલીસે ગત મોડી રાત્રે ઇલ્યાસ કાપડિયા સહિતના વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જયારે પીઆઇ બોડાણા, કોન્સ્ટેબલ અજય ભોપાળાની ભુમિકા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.