સરકાર ખેડૂતોને કંપનીઓ પાસે ગીરવે મુકી રહી છે
રાજ્યસભાના સાંસદોને ગૃહમાંથી જે રીતે બાકાત રાખવામાં આવ્યા તે લોકશાહીની વિરૂધ્ધ : શંકરસિંહ વાઘેલાની તડાફડી
અમદાવાદ તા. ૨૩ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિડિયો સંદેશમાં સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જો સરકારનો હેતુ સ્પષ્ટ હોત, તો તેમણે એમએસપી કરતા વધારે ભાવે ખેડૂતો પાસેથી કંપનીઓ ખરીદવાના બિલમાં જોગવાઈઓ પૂરી કરી હોત, પરંતુ તેમ કરીને પોતાનો વાસ્તવિક ચહેરો જાહેર કર્યો છે
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો સંદેશ આપ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલ અંગેના પોતાના મત વ્યકત કર્યા છે, જેમાં તેમણે સરકારના બિલને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારે ઉતાવળમાં કૃષિ બિલ પસાર કરવા વિચારણા કર્યા વિના આ બિલ સંસદમાં લાવ્યું છે. અને આ ઉતાવળથી ખેડૂત ચિંતિત છે. રાજયસભાના સાંસદોને ગૃહમાંથી જે રીતે બાકાત રાખવામાં આવ્યા તે લોકશાહી મૂલ્યોની વિરુદ્ઘ છે, એમ તેમણે કહ્યું હતું
સરકારના હેતુ વિશે સવાલ ઉઠાવતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જો સરકારનો આશય સાચો હોત તો એમએસપી કરતા વધારે ભાવે ખેડૂતો પાસેથી કંપનીઓ ખરીદવાની બિલમાં જોગવાઈ કરી હોત, પરંતુ તેમ કરીને તેમનો સાચો ચહેરો જાહેર કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતની આવક બમણી કરવાના વચન પર બોલતા તેમણે કહ્યું કે ડબલ આવક તો દૂર છે, સરકારે આજે ખેડૂતની પાસે તેમની આવક પણ રહેવા દીધી નથી.
તેઓએ એમ એમ પણ ધ્યાન દોર્યું હતું કે મોટા કોર્પોરેટ ગૃહોની નજરો પહેલાથી જ ખેડુતો પર હતી. અને તેઓ અમેરિકન પેટર્ન પર ભારતમાં ખેતી પડાવવા માંગતા હતા. પરંતુ આ મોડેલ ખેતી ભારતમાં શકય નથી. તેમણે લોકો ખેડૂતોના હક માટે તેમની સાથે ઉભા રહેવા માટે હાકલ કરી છે.
સરકાર ખેડૂતોને કંપનીઓ પાસે ગીરવે મૂકી રહી છે. જે ખોટું છે. શંકરસિંહ વાઘેલા કહે છે કે, જે ખેડૂતોએ લોકડાઉનમાં દેશને કોઈ મુશ્કેલી નથી પાડવા દીધી તે જ ખેડૂતોનું આજે સરકાર ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે.