ટ્રેન રસ્તે અમદાવાદ આવતા ૧૪૦૦ મુસાફરોનું ટેસ્ટીંગ કરાયું ર૪ કેસ પોઝીટીવઃ ૧૦ને કોવિડ કેર સેન્ટરમાં: ૧૪નેહોમ કવોરન્ટાઇન કરાયા
વિવિધ ટ્રેનોમાં અમદાવાદઆવતા ૧૪૦૦ મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ર૪ કેસ પોઝીટીવ મળી આવ્યા હતા. જેમાં ૧૦ને નજીકના કોવિડકેર સેન્ટર ખાતે લઇજવાયા હતા અને ૧૪ને હોમ કવોરન્ટાઇન કરાયા છે.
આ અંગેની વિસ્તૃત વિગતો જોઇએ તો અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો.
બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.
મંગળવાર કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 695 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 11 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 373 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 332 પ્રવાસીઓની ચકાસણીમાં 8 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1400 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 24 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.