પાંચકૂવા નજીક મકાનની દિવાલ તુટતા ખળભળાટ
એકને ઈજા થતાં સારવાર હેઠળ
અમદાવાદ, તા.૨૩ : શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકૂવા પાસે આવેલા મહોલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, કોઇ મોટી જાનહાનિ નહી થતાં સ્થાનિક લોકો સહિત તંત્રએ રાહત અનુભવી હતી. શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચ કૂવા પાસે મહોલ્લાનગરમાં મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હોવાની આ દુર્ઘટનામાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થઇ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. દિવાલ ધરાશયી થવાની ઘટનાને લઇ સ્થાનિક લોકોના ટોળા ઉમટયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી કાટમાળ ખસેડયો હતો. જો કે, આ દુર્ઘટનામાં કોઇ ગંભીર જાનહાનિ નહી થતાં સ્થાનિક લોકોએ ભારે રાહત અનુભવી હતી.