નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિરમગામના નીલકંઠ વાસુકિયા સહીતના સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે નીલકંઠ વાસુકિયા સ્ટેટ મ.પ.હે.વ તરીકે ફરજ બજાવી રહ્યા છે
વિરમગામ : આયુષ્યમાન ભારત દિવસ ઉજવણી અંતર્ગત સિવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદના કિરીટ શેલત, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે સ્ટેટ મ.પ.હે.વ તરીકે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયા, જુનાગઢના શૈલેશ નાંઢા, વિજાપુરના સોનલ પ્રજાપતિને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સન્માનિત કર્મચારીઓને પદાધીકારીઓ, અધિકારીઓ સહીતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
અગ્ર સચિવ જયંતિ રવિ ના માર્ગદર્શન પ્રમાણે રાજ્યભરમાં પંદર હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને સપ્તધારા તાલીમ આપવામાં આવી છે અને સપ્તધારા ના સાધકો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓ ની સચોટ માહિતી આપવામાં આવી રહી છે. સ્ટેટ આઇ.ઇ.સી ઓફિસર ડો.શૈલેશ સુતરીયા દ્વારા સપ્તધારાની તમામ પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને કર્મચારીઓને પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે
. અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણને તાઃ-૨૩/૦૯/૧૯ના રોજ એક વર્ષ પુર્ણ થયુ છે. જેને ધ્યાને લઇને ભારત સરકારે સમગ્ર દેશમાં તાઃ-૧૫/૦૯/૧૯ થી ૦૨/૧૦/૨૦૧૯ સુધી આયુષ્યમાન ભારત પખવાડીયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આ પખવાડીયુ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાનો પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવાનો છે. જેથી લાભાર્થીઓને યોજનાની સંપુર્ણ માહિતી મળી રહે અને વધુ લોકો યોજનાનો લાભ મેળવી શકે. સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકો સુધી સચોટ માહીતી પહોંચાડવામાં આવી રહી છે.