ગુજરાત
News of Monday, 23rd September 2019

ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ પડશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલની છે. નવરાત્રિમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના બંદરો પર સિગ્લન લાગ્યા

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનના પગલે દરિયો તોફાની બન્યો છે. સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર સહિતના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયામાં બદલાતા હવામાનને પગલે સૌરાષ્ટ્રના મહત્વના બંદરોની 15 હજાર જેટલી ફિશિંગ બોટને એલર્ટ કરાઈ છે. આ એલર્ટ ગઈકાલે જ આપી દેવાયું હતું. જેને પગલે મોટાભાગની બોટ પરત આવી ગઈ છે. તો 30 ટકા બોટ મહારાષ્ટ્ર અને ગોવાના બંદરો પર લાંગરી દેવાઈ છે. જેથી તેઓને કોઈ પ્રકારનું નુકશાન ન થાય.

ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ

ઓખા બંદરે 2 નંબરનુ સિગ્નલ મૂકી દેવાયું છે. જોકે, લો પ્રેશર અને દરિયામાં હાલ સંકટ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. પરંતુ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ મૂકી દેવાયું છે. જેથી કોઈ બોટ માછીમારી કરવા દરિયામાં ન જાય.

(4:41 pm IST)