ગુજરાત
News of Monday, 23rd September 2019

વોન્ટેડ ત્રાસવાદી યુસુફ શેખ એરપોર્ટ પરથી અંતે ઝડપાયો

૧૬ વર્ષના ગાળા બાદ કુખ્યાત આંતકવાદી ઝડપાયો : વહાબ આતંકવાદી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લીપર સેલ સાથે સંકળાયેલા હતો : ગુજરાત એટીએસને સફળતા

અમદાવાદ,તા. ૨૩ : દેશભરમાં ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ કુખ્યાત આંતકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની ટીમે ઝડપી લીધો છે. આતંકી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી સુરક્ષા એજન્સીઓને મળી હતી. જેના પગલે ભારે ગુપ્તતા સાથે સમગ્ર ઓપરેશન અને વોચ ગોઠવી સુરક્ષા એજન્સીઓએ છેલ્લા ૧૬ વર્ષોથી નાસતા ફરતા આ કુખ્યાત આંતકવાદી યુસુફ અબ્દુલ વહાબને ઝડપી લીધો હતો. અબ્દુલ વહાબ શેખ પાકિસ્તાનની આઈએસઆઈ, લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરી હિન્દુ નેતાઓની હત્યા કરીને બદલો લઈ આતંક ફેલાવોના હતો. સને ૨૦૦૩માં ૮૨ લોકો વિરૃધ્ધ ગુનો નોઁધાયો હતો. જેમાંથી ૧૨થી વધારે આરોપીઓ ફરાર હતા, જ્યારે કેટલાક વિદેશ ભાગવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત આ આરોપીઓ હરેન પંડ્યા, જયદીપ પટેલ પર હુમલામાં સામેલ હતા.

                 હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના જયદીય પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી પરંતુ જીવલેણ હુમલા છતાં બંનેનો જીવ બચી ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સંખ્યાબંધ લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં મોકલવા માટે ભારતમાં એકટીવ સ્લીપર સેલ દ્વારા મદદ કરવામાં આવતી હતી. આવા સોફ્ટ ટાર્ગેટ લોકોને આતંકી પ્રવૃત્તિ સુધી પહોંચાડવા માટે આર્થિક મદદ કરનાર ગુજરાતના યુસુફ અબ્દુલ વહાબ શેખ ૨૦૦૩થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. ત્યાં તે અન્ય આતંકીઓના સંપર્કમાં કે કોઇ સંગઠનમાં આવ્યો હતો કે કેમ તેની વધુ વિગતો હવે સામે આવે તેવી તપાસ એજન્સીઓને આશા છે. ગુજરાત એટીએસ અને શહેર ક્રાઇમ બ્રાંચની આ મોટી સફળતાને લઇ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ બંને સુરક્ષા એજન્સીઓને ભારે પ્રશંસા કરી હતી.

વહાબને પકડી લેવામાં આવ્યા બાદ તેની પાસેથી કેટલીક નવી વિગતો ખુલશે અને અન્ય સાગરિતો સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે. હાલમાં ગુપ્તરીતે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેની સામે વધુ તપાસ ગંભીરતાથી હાથ ધરીને જડ સુધી પહોંચવાના પ્રયાસ કરાશે.

(7:35 pm IST)