ગુજરાત
News of Sunday, 23rd September 2018

સુરતઃ કોંગ્રેસ કાર્યકરોઅે પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું જાહેરમાં દહન કર્યુ

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં સીતાનગર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે શુક્રવારનાં રોજ જમ્મુ-કશ્મીરમાં પોલીસકર્મીઓનાં અપહરણ અને હત્યા બાદ તેનો ઠેર-ઠેર વિરોધ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં જ આતંકીઓ તરફથી આ ચૂંટણીને ટાળવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે અગત્યનું છે કે ઘાટીમાં આતંકવાદીઓએ એક સ્થાનિક પોલીસનું અપહરણ કરી લીધું છે.

શુક્રવારનાં રોજ શોપિયામાં જમ્મુ-કાશ્મીરમાં ત્રણ એસપી અને એક પોલીસ જવાન સહિત ચાર અધિકારીઓનું અપહરણ કરી લેવાયું છે. મળતી માહિતી મુજબ આ કરતૂત આતંકવાદીઓની જ છે. ત્યારે મહત્વનું છે કે સેના દ્વારા કરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો પહેલાં આતંકીઓએ એક સ્પેશિયલ પોલીસ ઓફિસર્સને રાજીનામું આપી દઈને નોકરી પર નહીં આવવા માટેની ખુલ્લી ધમકી આપી હતી. પરંતુ ઓફીસર્સે આવું ના કરતા તેઓનું અપહરણ કરી લેવાયું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પહેલાં પણ ઘણી બધી વાર આતંકીઓએ પોલીસ અધિકારીઓ અને સૈનિકોનું અપહરણ કરીને તેમની નિર્મમ હત્યા કરેલી છે. જો કે હાલમાં પૂરજોશમાં સેનાએ અપહરણ કરાયેલ અધિકારીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર દેશભરમાં લોકોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે ત્યારે શહેર સુરતમાં કોંગ્રેસ દ્વારા પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું છે.

(12:28 pm IST)