સુરતમાં રોગચાળો વકર્યો :મૃત્યુઆંક 9 થયો :ઠેર ઠેર માંદગીના ખાટલા :દવાખાના ઉભરાયા
સિવિલમાં મલેરિયાના 75 કેસ, ગેસ્ટ્રો બીમારીઓના 50 કેસ , તાવના 40 કેસ:સ્મીમેર હૉસ્પિટલમાં મલેરિયાના 139, ગેસ્ટ્રોના 115,કોલેરાનો એક કેસ
સુરત :સુરતમાં રોગચાળાએ માથું ઉંચકચ્યું છે. શહેરમાં રોગચાળો વકરતાં અત્યાર સુધીમાં 9 મોત થઈ ગયા છે. પીપલોદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું કમળાના કારણે મોત થયું છે. શહેરમાં ઠેરઠેર માંદગીના ખાટલા છે સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે.
સિવિલ હૉસ્પિટલમાં અત્યારસુધીમાં મલેરિયાના 75 કેસ નોંધાયા છે જ્યારે ગેસ્ટ્રો બીમારીઓના 50 કેસ નોંધાયા છે. તાવના 40 કેસ આ મહિનામાં નોંધાઈ ગયા છે. જ્યારે શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં મલેરિયાના 139, ગેસ્ટ્રોના 115,કોલેરાનો એક કેસ નોંધાયા છે.
શહેરમાં સરકારી ચોપડે દાખલ થયેલા આંકડાઓ અને ખાનગી હૉસ્પિટલના આંકડાઓને જો ગણવામાં આવે તો કહી શકાય કે શહેર રોગચાળાના ભરડામાં છે. વરસાદ બાદ ઠેરઠેર ગટરો ઉભરાઈ હતી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો માંદગીનો ભોગ બન્યાં છે.