સાળંગપુર ફરવા જવું વડોદરાના પરિવારને ભારે પડ્યું: બંધ મકાનમાંથી તસ્કરોએ 1.85 લાખની મતાનો હાથફેરો કર્યો
વડોદરા:પરિવાર સાથે સાળંગપુર મંદિરે દર્શન કરવા ગયેલા એન્જિનિયરના બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયા મળીને ૧.૮૫ લાખની મત્તા ચોરી ગયા હતા.
આ બનાવ અંગેની વિગત એવી છે કે માંજલપુર દિપ ચેમ્બર્સ પાસે વિઠ્ઠલબાગ સોસાયટીમાં રહેતા જયદીપ વાસુદેવભાઈ પંડયા પોર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં એપ્લીકેશન એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેની પત્ની પણ મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૨૦મી જુલાઈએ રાત્રે તેઓ પરિવાર સાથે સાળંગપુર દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સોનાના સાડા દશ તોલોના દાગીના અને રોકડા રૃપિયા ૨૫ હજાર મળીને કુલ રૃપિયા ૧.૮૫ લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાઈ છે.