ડાકોરમાં તંત્રના અભાવના કારણે હોસ્પિટલમાં પી.એમ. રૂમ જર્જરિત હાલતમાં
ડાકોર:માં તંત્રની મોટી ચૂક સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગની આળસનાં કારણે છેલ્લાં ૧ વર્ષથી સરકારી હોસ્પિટલનાં પી.એમ. રૃમને દરવાજો નથી. તેમજ તેની હાલત જર્જરીત બની છે. આ અંગે જિલ્લાનાં ઉચ્ચ વડાને રજૂઆતો કર્યા બાદ પણ સ્થિતિમાં સુધાર ન થતાં લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડાકોર બસ સ્ટેન્ડ નજીક આવેલી રેફરલ હોસ્પિટલનો પી.એમ રૃમ અત્યંત જર્જરીત હાલતમાં છે. હોસ્પિટલનાં જ કેમ્પસમાં આવેલા આ રૃમની માવજતનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. પી.એમ રૃમમાં નાખવામાં આવેલું શટર છેલ્લાં કેટલાંય મહિનાઓથી તૂટી પડયુ છે. પરંતુ હજુ સુધી નવું શટર નાખવામાં આવ્યું નથી.
હોસ્પિટલ તંત્ર અને સામાન્ય નાગરિકોની અનેક લેખિત રજૂઆતોને સ્થાનિક કે જિલ્લા વહીવટી તંત્રએ ધ્યાનમાં લીધા નથી. જેનાં કારણે અત્યારે હોસ્પિટલ દ્વારા પી.એમ રૃમમાં પડદો મારી કામકાજ ચલાવવમાં આવે છે.
દરવાજાનાં અભાવે કમ્પાઉન્ડમાં જ આવેલો આ રૃમ કુતરા, ગાયો અને વાંદરા જેવા અનેક નાના-મોટા પશુઓ માટે આરામ ફરમાવવાનો રૃમ બન્યો છે. જ્યાં રાત્રિ અને દિવસ દરમિયાન માનવો કરતાં પશુઓની અવર-જવર વધારે રહે છે. આ ઉપરાંત આ રૃમમાં ઈલેક્ટ્રીસીટીનો પણ અભાવ છે. જેનાં કારણે ડૉક્ટરો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું હોસ્પિટલ સ્ટાફ દ્વારા જાણવા મળ્યું છે.