ગુજરાત
News of Saturday, 23rd May 2020

સુરતમાં લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ સર્જાતા સ્‍કૂલવાન ચાલકનો આપઘાત

સુરતઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન 4.0માં વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી ચાલેલા લૉકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિને ખુબ મોટી અસર પડી છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સ્કૂલવેન ચાલકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવાનું સામે આવી રહ્યું છે.

ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કર્યો આપઘાત

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને સ્કૂલવાનનો વ્યવસાય કરતા વિનોદભાઈ પટેલ નામના વ્યક્તિએ ગત રાત્રે પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ સમયે તેમનો પરિવાર નીચે આવેલા અન્ય રૂમમાં હતો. ત્યારબાદ ઘણો સમય થતાં પરિવારને શંકા ગઈ હતી. દરવાજો ના ખોલતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે આવીને દરવાજો તોડ્યો હતો.

વિનોદભાઈએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ડીંડોલી પોલીસે આપઘાતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

(4:15 pm IST)