ગુજરાત
News of Saturday, 23rd May 2020

APL-૧ પરિવારોને ૫માં દિને વિનામૂલ્યે અનાજનું વિતરણ

આવતીકાલે અનાજ વિતરણનો અંતિમ દિવસ : કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૮થી બપોરે ત્રણ વાગ્યા સુધી, નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૮થી બપોરે ૪ વાગ્યા સુધી વિતરણ

અમદાવાદ,તા.૨૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યના મધ્યમવર્ગીય એપીએલ-૧ ૬૧ લાખ પરિવારોના અંદાજે ર.પ૦ કરોડ લોકોને મે-મહિનામાં પણ વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ / દાળ એમ કુલ મળી ૧પ કિલો પૂરવઠો કુટુંબદિઠ આપવાની રાજ્યના ૬૦મા સ્થાપના દિન ૧ લી મે એ જાહેરાત કરી હતી. અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આવા એપીએલ-૧ પરિવારોને ૭મી થી ૧રમી મે દરમ્યાન આ વિતરણ પાર પડયું છે.ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની આ સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રો અને એફપીએસના દુકાનદારોને રાજય સરકારે અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં આ અનાજ વિતરણનો પ્રારંભ તા.૧૮મી મે થી કરવામાં આવ્યો છે. તદ્દઅનુસાર માત્ર પાંચ જ દિવસમાં જ ૪ લાખથી વધુ લોકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.

               અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતીમાં આવા એપીએલ-૧ કાર્ડધારક પરિવારોને સુચારૂ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજીયાત માસ્ક સહિતના પૂરતા પ્રબંધ સાથે રેશનકાર્ડના છેલ્લા આંકડાના આધારે નિર્ધારીત દિવસોએ વિનામૂલ્યે અનાજ વિતરણ થાય છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરમાં જે કોઈ એપીએલ-૧ કાર્ડધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમના માટે આવતીકાલ તા. ૨૩મી મે એ અનાજ વિતરણ માટે મોપ અપ રાઉન્ડ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે બાકી રહી ગયેલા એપીએલ-૧ કાર્ડધારક પરિવારોને એમનું રાશન મેળવી લેવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. તેમણે ઉમેર્યુ કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે ૮ થી બપોરે ૩ દરમ્યાન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી એપીએલ-૧ કાર્ડધારકો વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે. અગાઉ એપ્રિલ માસમાં અમદાવાદમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધીમાં અંદાજે ૪.૭૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. એ જ રીતે મે માસમાં પણ અંદાજે ૭૫૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અમદાવાદ શહેરના એપીએલ-૧ કાર્ડધારકોને હાલ અનાજ વિતરણ થઇ રહ્યું છે. તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦થી ૪.૭૦ લાખ લોકો તેનો લાભ મેળવશે તેવો અંદાજ છે એમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

(9:39 pm IST)