APL-૧ પરિવારોને ૫માં દિને વિનામૂલ્યે અનાજનું વિતરણ
આવતીકાલે અનાજ વિતરણનો અંતિમ દિવસ : કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૮થી બપોરે ત્રણ વાગ્યા સુધી, નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૮થી બપોરે ૪ વાગ્યા સુધી વિતરણ
અમદાવાદ,તા.૨૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યના મધ્યમવર્ગીય એપીએલ-૧ ૬૧ લાખ પરિવારોના અંદાજે ર.પ૦ કરોડ લોકોને મે-મહિનામાં પણ વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ / દાળ એમ કુલ મળી ૧પ કિલો પૂરવઠો કુટુંબદિઠ આપવાની રાજ્યના ૬૦મા સ્થાપના દિન ૧ લી મે એ જાહેરાત કરી હતી. અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આવા એપીએલ-૧ પરિવારોને ૭મી થી ૧રમી મે દરમ્યાન આ વિતરણ પાર પડયું છે.ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની આ સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રો અને એફપીએસના દુકાનદારોને રાજય સરકારે અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં આ અનાજ વિતરણનો પ્રારંભ તા.૧૮મી મે થી કરવામાં આવ્યો છે. તદ્દઅનુસાર માત્ર પાંચ જ દિવસમાં જ ૪ લાખથી વધુ લોકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.
અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતીમાં આવા એપીએલ-૧ કાર્ડધારક પરિવારોને સુચારૂ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજીયાત માસ્ક સહિતના પૂરતા પ્રબંધ સાથે રેશનકાર્ડના છેલ્લા આંકડાના આધારે નિર્ધારીત દિવસોએ વિનામૂલ્યે અનાજ વિતરણ થાય છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરમાં જે કોઈ એપીએલ-૧ કાર્ડધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમના માટે આવતીકાલ તા. ૨૩મી મે એ અનાજ વિતરણ માટે મોપ અપ રાઉન્ડ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે બાકી રહી ગયેલા એપીએલ-૧ કાર્ડધારક પરિવારોને એમનું રાશન મેળવી લેવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. તેમણે ઉમેર્યુ કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે ૮ થી બપોરે ૩ દરમ્યાન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી એપીએલ-૧ કાર્ડધારકો વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે. અગાઉ એપ્રિલ માસમાં અમદાવાદમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધીમાં અંદાજે ૪.૭૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. એ જ રીતે મે માસમાં પણ અંદાજે ૭૫૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અમદાવાદ શહેરના એપીએલ-૧ કાર્ડધારકોને હાલ અનાજ વિતરણ થઇ રહ્યું છે. તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦થી ૪.૭૦ લાખ લોકો તેનો લાભ મેળવશે તેવો અંદાજ છે એમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.