નડિયાદના ચકલાસીમાં સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નડિયાદ: તાલુકાના ચકલાસીમાં રામદેવ મંદિર પાસે પાટવી ફળીયું આવેલું છે. આ ફળીયામાં રહેતાં ૨૧ વર્ષીય યોગેશભાઈ કાંતિભાઈ વાઘેલાને આજ ફળીયામાં રહેતી ૧૮ વર્ષીય નેહાબેન મહેન્દ્રભાઈ વાઘેલા નામની યુવતિ ગમી હતી. જેથી બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ બન્યાં હતાં. બંને કુંવારા હોઈ લગ્ન કરવા ઈચ્છતા હતાં. પરંતુ એક જ ફળીયાના હોઈ તેમના આ પ્રેમની ગાડી લગ્નના મંડપ સુધી સમાજ પહોંચવા નહી દે તેવો છુપો ડર હતો. અને બંને એકબીજાને મળતાં ત્યારે સાથ જીએંગે...સાથ મરેંગેના કોલ આપતા હતાં. સમાજ સાથે જીવવા નહીં દે એટલે આપેલ આ કોલ પુરા કરવા જીવવું ભલે સાથે ના મળે પરંતુ એક સાથે મરી શકીશુ તેવુ વિચારી ગઈકાલે રાત્રે જ બંને ઘરેથી ગુમ થઈ ગયાં હતાં. અને સ્મશાનગૃહે પહોંચી ગયા હતા જ્યાં વડની ડાળ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે લોકોને લટકેલી લાશો જોવા મળતાં હો..હા થઈ ગઈ હતી. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો બનાવ સ્થળે દોડી આવ્યાં હતાં. આ બનાવની જાણ ચકલાસી પોલીસને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવી વડની ડાળ પર લટકતી લાશોને ઉતારી પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ચકલાસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મરનાર યુવક યોગેશ મજૂરી કરતો હતો. જ્યારે નેહાબેન ઘરકામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.