ગુજરાત
News of Friday, 23rd April 2021

પૂ.મોરારીબાપુ દ્વારા કોરોના કાળમાં રૂ.૧ કરોડની સહાયની જાહેરાત

કથા વચનાત્મક નહિ પરંતુ રચનાત્મક થાય તે જરૂરી છેઃ લોકોની કફોડી હાલત જોઇને આત્મામાં બળતરા થતી હતી પરંતુ હવે સહાય આપ્યા બાદ થોડી શાંત થશેઃ પૂ. મોરારીબાપુ : રાજુલાના રામપરા ખાતે આયોજીત કથામાં કોરોનાગ્રસ્તો માટે સહાય અપાશેઃ રાજુલા, સાવરકુંડલા, મહુવા અને તળાજામાં જરૂરીયાતમંદોને અર્પણ કરાશે

રાજકોટ, તા., ૨૩: પૂ. મોરારીબાપુના વ્યાસાસને વૃંદાવન ધામ રામપરા અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાના લાભાર્થે આયોજીત શ્રીરામ કથામાં  પૂ. મોરારીબાપુએ કોરોના ગ્રસ્તોના સહાય માટે રૂ. ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે.

રાજુલા ખાતે આયોજીત શ્રીરામ કથાના આજે ૭માં દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં લોકોની હાલત ખુબ જ ખરાબ થતી જાય છે અને જરૂરીયાતમંદોને યોગ્ય સારવાર મળે તે માટે હું ઘણા દિવસથી વિચારતો હતો કે કઇ રીતે આપણે કોરોનાગ્રસ્તો અને તેમના પરીવારજનોને મદદ કરી શકીએ.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે કોરોના મહામારી પ્રસરતા ઓકસીજન, બેડ, લાકડા, સેનેટાઇઝ સહીતની વસ્તુઓ ખુટી પડી છે અને જયાં જુઓ ત્યાં લોકો હેરાન થઇ રહયા છે. ત્યારે તલગાજરડા ચિત્રકુટધામ દ્વારા પ્રસાદીરૂપે રૂ. પ લાખ આપવાની જાહેરાત મારા તરફથી કરૂ છું.

હવે પછી અન્ય લોકોને સહાય મળે તે હેતુથી રાજુલા સાવરકુંડલા મહુવા અને તળાજા તાલુકામાં રૂ.રપ-રપ લાખ આપવામાં આવશે. આ માટે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ચીમનભાઇ સહીતનાને વ્યવસ્થા સોંપવામાં આવશે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે મારે દાન માટે અપીલ કરવી નથી પરંતુ દાતાઓના ફોન આવી રહયા છે અને તેના અનુસંધાને જે કાંઇ રકમ મળશે તે કોરોનાગ્રસ્તોને અર્પણ કરવામાં આવશે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે કથા વચનાત્માક નહિ પરંતુ રચનાત્મક થાય તે જરૂરી છે. કોરોના કાળમાં લોકોની હાલત જોઇને મારા આત્મામાં બળતરા થતી હતી જે હવે શાંત થઇ જશે.

(4:15 pm IST)