ગુજરાત
News of Friday, 23rd April 2021

૩૦ દિવસમાં રાજ્યમાં ઓકિસજનની માગમાં ૧૩ ગણો વધારો

ઓકિસજનનું ઉત્પાદન ૧૦૦થી ૨૦૦ મેટ્રિક ટન વધારવામાં આવ્યું

અમદાવાદ તા. ૨૩ : જયારે ઓકિસજનની અછત શરૂ થાય ત્યારે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે. જયાં એક તરફ મોટાભાગની હોસ્પિટલોએ રિફિલ પ્લાન્ટ્સમાંથી ઓકિસજન લાવવા માટે વાહનો ભાડે રાખ્યા છે, તો બીજી તરફ ડોકટરો આ કપરી સ્થિતિમાં એકબીજાની મદદ કરવા માટે પણ તૈયાર છે.

નિધિ હોસ્પિટલના ડો. સુનિલ પોપટે જણાવ્યું હતું કે, હોસ્પિટલો ઘણીવાર એકબીજાની મદદ માટે આગળ આવે છે. તેમણે કહ્યું હતું કે, 'ગત મહિનામાં અમને ઘણીવાર ઓકિસજનની જરૂર પડી હતી, ત્યારે અમે સંકટના સમયમાં અમારા સહયોગીઓનો સંપર્ક કર્યો હતો.'

સપ્લાયની વાત કરીએ તો, ૭૫ મેટ્રિક ટનની સરખામણીમાં, જે ગુજરાતમાં એક મહિના પહેલા ઉપયોગ થતો હતો, અત્યારે તે આંકડો વધીને ૧ હજાર મેટ્રિક ટન થયો છે. એટલે કે તેમાં ૧૩ ગણાનો વધારો થયો છે. 'જ્યાં ઉત્પાદન ૧૦૦થી ૨૦૦ મેટ્રિક ટન વધારવામાં આવ્યું છે, ત્યારે માગ પણ મોટા પ્રમાણમાં રહી છે', તેમ રાજય સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

કોવિડ-૧૯ના કેસની વાત કરીએ તો, એકલા અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪૨ કેસ નોંધાયા હતા. તેની સામે ડિસ્ચાર્જ થયેલા અને મૃત્યુ પામનાર દર્દીઓની કુલ સંખ્યા ૯૯૯ હતી. 'અંદાજ પ્રમાણે ઓકિસજન બેડની જરૂરિયાતવાળા ૨૫ ટકા દર્દીઓની સામે આજે ૧ હજાર જેટલા બેડની જરૂરિયતવાળા માટે હશે', તેમ શહેરની એક હોસ્પિટલના માલિકે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 'અમારી અડધી એનર્જી તો માત્ર સંસાધનોના સંચાલનમાં જતી રહે છે'.

આરના હોસ્પિટલના ચેરમેન ડો. રોહિત જોશીએ કહ્યું હતું કે, 'ઓકિસજનની અછતના કારણે ઘણીવાર અમારે બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ના પાડવી પડે છે.'

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનના (AHNA) પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, ઘણી ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન જીવન-મૃત્યુ વચ્ચેનો મામલો બની જાય છે. 'આજના સમયમાં દર્દીઓ માટે રેમડેસિવિર કરતાં ઓકિસજન વધારે જરૂરી છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહેલી ૮૫ ટકા જેટલી હોસ્પિટલો સંપૂર્ણ રીતે ઓકિસજન સિલિન્ડર પર આધારિત છે.'

(10:12 am IST)