આંકલાવની આસોદર ચોકડી નજીક રસ્તો ઓળંગતા રાહદારીનું બસની હડફેટે કમકમાટી ભર્યું મોત
આંકલાવ: તાલુકાની આસોદર ચોકડી પાસે ગત ૨૦મી તારીખના રોજ રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને ટક્કર મારતાં તેનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને લક્ઝરી બસના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર આસોદર ખાતે રહેતો ફરિયાદી ગીરીશભાઈ છોટાભાઈ પઢિયાર ચોકડી ઉપર ખોડીયાર માતાના મંદિર પાછળ આમલેટની લારી ચલાવીને ગુજરાન કરે છે. ગત ૨૦મી તારીખના રોજ પોણા આઠેક વાગ્યાના સુમારે તેનો મોટોભાઈ હર્ષદભાઈ (ઉ. વ. ૪૦)રોડ ક્રોસ કરીને લારીએ આવતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી લક્ઝરી બસ જીજે-૦૪, એટી-૯૮૭૩એ ટક્કર મારતા તેને મોઢાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.