પરીક્ષાના ભયથી અમદાવાદની એન્જીનીયરીંગની વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી આપઘાત કર્યો
અમદાવાદ:સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એન્જિનીયરીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આજે બપોરે છઠ્ઠામાળેથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પરીક્ષાના ટેન્શનમાં આ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ કેસની વિગત એવી છે, કે સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગર પાસે વિક્રમનગર કોલોનીમાં રહેતા અને એલ.ડી.એન્જિનીયરિંગ કોલેજમાં એન્જિનીયરીંના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા શ્રેયાબહેન અશ્વિનભાઇ રાવલે આજે બપોરે કોલોનીના છઠ્ઠા માળેથી કૂદકો મારતાં જમીન પર પટકાવાના કારણે શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કોલેજમાં પરીક્ષા ચાલતી હતી અને ત્રણ દિવસ રજા હતી, આજે બપોરે ઇસરોમાં ફરજ બજાવતા પિતા ઘેર ખાવા આવ્યા હતા અને પતિ-પત્ની ખરીદી કરવા માટે બજારમાં ગયા હતા, યુવતી ઘેર એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇને યુવતીએ મોતની છલાંગ મારી હતી. મૃતક યુવતી પાસેથી અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી છે, જો કે ચિઠ્ઠીમાં શુ લખેલું છે તે અંગે પોલીસે ભારે મૌૈન સેવ્યું છે.