ગાંધીનગરના સેરથા ગામમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને અજાણ્યા શખ્સોએ કોલ્ડ્રીંક્સની બોટલોની માળા પહેરાવી
ગાંધીનગરઃ ઠેર-ઠેર પ્રતિમાઓના અપમાન થઇ રહ્યા છે ત્યારે ગાંધીનગરના સેરથા ગામમાં પણ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અપમાન થતા ભારે રોષ છવાઇ ગયો છે.
ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિજય બાદ લેનિનની મૂર્તિ તોડવાથી શરુ થયેલ મૂર્તિઓના અપમાનનો સિલસિલો તમિલનાડુ, કોલકત્તા અને ઉત્તરપ્રદેશ થઈને હવે ગુજરાત પહોંચ્યો છે. ગાંધીનગરના સેરથા ગામ સ્થિત ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને કેટલાક અજ્ઞાત શખ્સોએ કોલ્ડડ્રીંકની બોટલોની માળા પહેરાવી હતી. આ મૂર્તિનુ અનાવરણ બાબરી ધ્વંસના બે મહિના પહેલા ઓક્ટોબર ૧૯૯૨માં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના હસ્તે કરાયુ હતું. આ મામલે અડાલજ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ કેટલાક ગામવાળાઓએ મૂર્તિ પર બોટલોની માળા જોઈ હતી. તેમજ તેની તસ્વીરો ખેંચી હતી જે હાલ વાયરલ થઈ રહી છે. ત્યારબાદ ગામના લોકોએ આ માળા હટાવીને મૂર્તિને ફરી સ્વચ્છ કરી હતી. જે લાઈબ્રેરીમાં આ મૂર્તિ છે તેના મેનેજર હસમુખ પટેલે જણાવ્યુ હતું કે અમે અડાલજ પોલીસમાં આ અંગે પોતાની ફરીયાદ નોંધાવી છે. અડાલજના પીઆઈ જેજી વાઘેલાએ જણાવ્યુ હતું કે અમે લાઈબ્રેરીની સામે આવેલ એક બેંક શાખાના સીસીટીવી ફુટેજ મંગાવીને આ અંગે તપાસ હાથ ધરી છે. આ સીસીટીવી ફુટેજથી માહિતી મેળવાશે કે આ હરકત કોની છે. વાઘેલાએ જણાવ્યુ હતું કે, અમે સરદાર પટેલની પ્રતિમા પાસે બે હોમગાર્ડ અને એક કોન્સ્ટેબલ તૈનાત કરી દીધો છે.