વડોદરા:બેંકમાં મકાન મોર્ગેજ કરીને 20 લાખની રૂપિયાની લોન લીધી હોવાની વાત છુપાવી બિલ્ડરે શાકભાજીના વેપારી સાથે 22 લાખની છેતરપીંડી આચરતા પોલીસ ફરિયાદ
વડોદરા:પંજાબ નેશનલ બેન્કમાં મકાન મોર્ગેજ કરીને ૨૦ લાખ રૃપિયાની લોન લીધી હોવાની વાત છૂપાવીને બિલ્ડરે તે મકાન શાકભાજીના વેપારીને ૨૨ લાખમાં ફરીથી વેચી દીધુ હતું.આ ગુનામાં પકડાયેલા બિલ્ડર અને તેની પત્નીની પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ લોકો પાસેથી પણ બિલ્ડરે રૃપિયા પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે.
વારસિયા રોડની લોકમાન્ય સોસાયટીમાં રહેતા મહેશ રામકૃષ્ણ વાસ્તેકરે વર્ષ ૨૦૧૮ માં આજવારોડ પર સૃષ્ટિ ડુપ્લેક્સ નામની સાઇટ પર જઇને બિલ્ડર મહેશ વીરાભાઇ પટેલ પાસેથી મકાન નં.૯૧ પસંદ પડતા ૨૨ લાખ રૃપિયામાં મકાન લેવાનું નક્કી કર્યુ હતું.અને ટોકન પેટે ૫૧ હજાર રૃપિયા રોકડા આપ્યા હતા.આ મકાન બિલ્ડરના પત્ની રમીલાબેનના નામ પર હતું.
આ મકાન પર પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લીધી હોવાનું બિલ્ડર કે તેના પત્નીએ મહેશભાઇને જણાવ્યુ નહતું.તા.૦૧-૦૨-૨૦૨૧ ના રોજ સૃષ્ટિ ડુપ્લેક્સના ગૃપમાં વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે,મકાન નં.૯૧ ના ગેટ પર પંજાબ નેશનલ બેન્કની ઓક્શનની નોટિસ લાગી છે.જેથી મહેશભાઇ તાત્કાલિક સૃષ્ટિ ડુપ્લેક્સ પર મારા મકાન પર તપાસ કરવા ગયા હતા.વોટ્સએપ પર આવેલો મેસેજ સાચો હતો.મહેશભાઇએ પંજાબ નેશનલ બેન્કમાં જઇને તપાસ કરતા જાણ થઇ હતી કે,મકાન નં.૯૧ પર અગાઉ રમીલાબેને વર્ષ ૨૦૧૭ માં ૨૦ લાખની લોન લીધી હતી.જે લોનના હપ્તા રમીલાબેને નહી ભરતા મકાનની હરાજી થવાની છે.