૨.૫ કરોડના નંગ પડાવી લેતા વેપારીનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના બોપલ વિસ્તારની ચોંકાવનારી ઘટના : પોલીસમાં ઊઘરાણી માટે ધાક-ધમકી આપનારાની સામે ફરિયાદ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા વેપારીનું પગલું
અમદાવાદ, તા. ૨૨ : બોપલ ખાતે રહેતા વેપારી પાસેથી ધાકધમક આપી ૨.૫ કરોડના નંગ અને રૂદ્રાક્ષ પડાવી જનાર યુવકો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા કંટાળેલા વેપારીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રૂપિયાની ઉઘરાણી મુદ્દે બે યુવકે વેપારીની ઓફિસમાં જઈ કરોડોના ઝવેરાત લઈ લીધા ઉપરાંત તેમનો ૧.૫ કરોડના ધાંગ્રધાના મકાનના દસ્તાવેજો અને કોરા ચેક પણ લીધા હતા. આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. બીજી બાજુ જે ઝવેરાત લઈ ગયા તેમાં ગ્રાહકોનો પણ સામાન હતો.આમ, યુવકોએ ધમકી આપી કરોડાના ઝવેરાત પડાવ્યાના કિસ્સાને લઈ વેપારીએ દવા પી લીધા બાદ હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પરિવારે આપેલી માહિતી અનુસાર,બોપલના નિલકંઠ વીલામાં રહેતા મોનિષ ઝિંઝુવાડિયા ગ્રહો આધારીત નંગના હોલસેલનો વેપાર કરે છે. તેમણે જાન્યુઆરી-૨૦૧૯માં સિંધુભવન રોડ પર એક ઓફિસ રાખી પોતાનું કામકાજ શરૂ કર્યું હતું. તેમની જૂની ઓફિસ સીજી રોડ પર હતી. વૃદાવન જ્વેલર્સના ધ્રુવીત પરીખ સાથે તેમનો વેપાર ચાલતો હતો અને વેપારમાં ૩થી ૪ માસનું ક્રેડિટ પણ ચાલતું હતું. બંને વચ્ચે ઘણા સમયથી વેપાર ચાલતો હોઈ વિશ્વાસ કેળવાયો હતો.
જોકે, આ દરમિયાન એક પેમેન્ટમાં થોડુક મોડું થતાં મોનિષે ધ્રુવીતને ૪૦ લાખનું પેમેન્ટ થોડુ મોડું થશે તેમ જણાવ્યું હતું. બદલામાં મોનિષે ધાંગ્રધાના તેમના ૧.૫ કરોડની કિંમતના મકાનના દસ્તાવેજ આપ્યા હતા અને કરંટ ક્રેડિટ કરાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત ૩ કોરા ચેક પણ આપ્યા હતા. ત્યારબાદ મોનિષ ધ્રુવીતને ફોન કરી કરંટ ક્રેડિટ કરાવવા માટે કહેતો હતો. જેથી તેમની એક મીટિંગ સીજી રોડ પર મળી હતી. આ વખતે ધ્રુવીતની સાથે પાર્થ દોશી પણ ત્યાં હાજર હતો તેમણે કરંટ ક્રેડિટ કરવાની ના પાડી દસ્તાવેજ પોતાના નામે કરી આપવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
જોકે, પેમેન્ટ મકાનની કિંમત કરતા ઓછું હોવાથી મોનિષે દસ્તાવેજ નામે કરી આપવાની ના પાડતા છેવટે ધ્રુવીત અને પાર્થ મોનિષને લઈને તેની સિંધુભવન રોડ ખાતેની ઓફિસે આવ્યા હતા અને ત્યાં તેને ધાકધમકી આપવા લાગ્યા હતા. ત્યાં તેમણે ઓફિસમાં પડેલા માલની માગણી કરી હતી. જોકે તેમાં ગ્રાહકોનો પણ માલ પડ્યો હોઈ ના પાડતા અન્ય માણસોને બોલાવી માર મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેઓ ઓફિસમાં પડેલા નંગ અને રૂદ્રાક્ષ સહિતનો માલ કાઢી લઈ ગયા હતા. તેમના ગયા બાદ મોનિષ અને તેના પિતા તથા પત્નીએ ગણતરી કરતા તેઓ ઓફિસનો તેમજ ગ્રાહકો પાસેથી સર્ટિફાઈ કરવા માટે આવેલો કુલ ૨.૫ કરોડનો માલ લઈ ગયા હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, ધાંગ્રધાના મકાનના દસ્તાવેજ અને ચેક પણ લઈ ગયા હતા. જેથી મોનિષ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ કરવા માટે જે તે સમય ગયા ત્યારે તેમની ફરિયાદ પણ લેવામાં આવી ન હતી. જોકે, ત્યારબાદ ઉપરથી દબાણ થતાં તેમની ફરિયાદ લીધી હતી, પરંતુ તેમાં લૂંટની કલમ લગાવી ન હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.
૧૧ મહિનાનો સમય થયા બાદ પણ આ કેસમાં કોઈ તપાસ કરવામાં આવતી ન હતી. બીજી બાજુ મોનિષની ઓફિસમાંથી જે ગ્રાહકોનો માલ ગયો હતો તેઓ પણ પૂરપરછ માટે આવતા હતા. આ ઉપરાંત તેમની ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. જેથી તેમને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. જેને લઈને તેમણે છેક મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા મોનિષે બુધવારે બોપલ સ્થિત તેના ઘરે દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યા હાલમાં તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.