વડોદરામાં સંબંધી સાથે જતા યુવકને આંતરી બે શખ્સોએ લાકડીથી હુમલો કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: જુના ઝઘડાની અદાવતે ખિસકોલી સર્કલ પાસે ગત રાત્રે શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ખાતેની તકરારની અદાવત રાખી સંબંધી સાથે જતા યુવકને ખિસકોલી સર્કલ પાસે આંતરી બે બાઈક સવાર ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કરતા બે શખ્સોને ઈજા પહોંચી હતી. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી અન્ય ત્રણ શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના માંજલપુર વિસ્તારનો રહેવાસી અને કલર કામ થકી પરિવારનું ગુજરાન ચલાવતો જૈશકુમાર ભારદ્વાજએ ફરિયાદ નોંધાવી હતી કે, યુપી જવા માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ખાતે હું ટિકિટ માટે લાઈનમાં બેઠો હતો. તે સમયે એક શખ્સ ઘસી આવી મને જણાવ્યું હતું કે મારું ટિકિટ લેવાનું નામવાળું લિસ્ટ ક્યાં છે. જેથી હું એ કહ્યું હતું કે મને ખબર નથી. તે સમયે અચાનક ઉશ્કેરાઈ જઈ લિસ્ટ ફાડી નાખ્યું હતું. ત્યારબાદ હું મારા સંબંધીઓ સાથે ઘરે જતો હતો તે સમયે ખિસકોલી સર્કલ પાસે બે બાઈક ઉપર ચાર શખ્સોએ અમને રોકી કાકા અમરજીત ભારદ્વાજ તથા અર્જુન ભારદ્વાજ ને લાકડી વડે માર માર્યો હતો. આ દરમિયાન અમે એક શખ્સને ઝડપી પાડતા ચંદન કુમાર ઉમેશભાઈ પ્રસાદ ( રહે -મકરપુરા ડેપો પાછળ) હોવાનું બહાર આવ્યું હતું. તેણે અન્ય હુમલાખોરો મહેન્દ્ર મોહતો, મોહન મોહતો તથા રણજીત યાદવ હોવાનું જણાવ્યું હતું. આ હુમલામાં અમરજિત ભારદ્વાજને જડબામાં ફ્રેક્ચર થયું છે. ઉપરોક્ત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ચારેય હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.