બંને બહેનો ૨૬મીએ ભારત આવીશું : વિડિયોમાં ખુલાસો
પાંચ શરતો મૂકી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમની ધરપકડ કરવામાં ન આવે તેવી વિશેષ શરત મુકી
અમદાવાદ, તા.૨૨ : નિત્યાનંદ આશ્રમ મામલામાં ભારત પરત ફરતા પહેલા બંને બહેનોએ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ચર્ચા જગાવી છે. સાથે સાથે ૨૬મીએ ભારત પરત ફરવાની વાત શરતીરીતે કરી છે. શહેરના હાથીજણ પાસેના નિત્યાનંદ આશ્રમથી ગુમ થયેલી નિત્યાનંદિતા મામલે તેની મોટી બહેન તત્વાપ્રિયા આનંદાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.જેમાં તેણે જણાવ્યુ છે કે, અમારી ૫ાંચ શરતો સંતોષાય તો હું અને મારી નાની બહેન નિત્યાનંદિતા તા.૨૬મીએ અમદાવાદ આવીશું અને હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ જશું. તત્વાપ્રિયા આનંદાએ જણાવ્યું કે, અમે ઇન્ડિયા આવીએ ત્યારથી પોલીસ અને કોર્ટ પ્રોટેક્શન મળે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતા વિવાદ મામલે પોલીસ અને વકીલનો ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યુ હતું
કે. તા.૨૬ નવેમ્બરે હું તત્વપ્રિયા અને બહેન નિત્યાનંદિતા ઈન્ડિયા આવીએ અને કોર્ટ સમક્ષ હાજર થાય.પણ મને બહું ડર છે. કેમકે પોલીસે અમારી ગુરૂબહેનોની ગેરકાયદે રીતે ધરપકડ કરી છે. નિત્યાપ્રાણપ્રિયાનંદા અને પ્રાણપ્રિયાતત્વાનંદા મારા પિતાના પોલીટીકલ પ્રેશરના કારણથી પણ હું ખુબ ડરી રહી છું. તેણે પોલીસ સામે ૫ાંચ શરત મૂકી છે. પોલીસ શરતો માને કે ન માને પણ રેકોર્ડ રહે તે માટે આ વીડિયો શેર કરી રહી છું. આશ્રમ મામલામાં કેટલીક ચોંકાવનારી વિગતો દિનપ્રતિદિન ખુલી રહી છે.
કઇ પાંચ શરતો મૂકી....
* ઇન્ડિયા આવ્યા ત્યારથી પરત જવા સુધી પોલીસ અને કોર્ટ પ્રોટેક્શન
* મારુ અને મારી બહેનનું અપહરણ ન થાય
* મારી અને નાની બહેન નિત્યાનંદિતાની ધરપકડ ન કરે
* કોર્ટે અમને ઓર્ડર ન કરે કે મારે ક્યાં રહેવું જોઈએ...એ હું નક્કી કરીશ કે હું અને મારી બહેન ક્યા રહીશું.
* જે ગુરુબહેનોને પોલીસે ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે તેમને મુક્ત કરે