ફાજલપુરમાં ખેડૂતે ઘરેથી નીકળી અગમ્ય કારણોસર નદીમાં છલાંગ લગાવી
વડોદરા:શહેર નજીક ફાજલપુર ગામમાં રહેતા આધેડ વયના ખેડૂતે આજે સવારે ઘરેથી સાયકલ પર હાઈવે પર આવેલા મહીસાગર નદીના બ્રિજ પર જઈને નદીમાં છલાંગ લગાવી ભેદી સંજોગોામાં આપઘાત કર્યો હતો.
ફાજલપુર ગામના ઘોળાકુવામાં પરિવાર સાથે રહેતા ૪૮ વર્ષીય રમણભાઈ મોહનભાઈ ગોહિલ ખેતીકામ કરતા હતા. છેલ્લા બે દિવસથી રમણભાઈ અગમ્ય કારણોસર ભારે ગુમસુમ રહેતા હોઈ અને કોઈની સાથે વાતચિત કરતા ન હોઈ પરિવારજનોએ તેમને શું થયું છે તેવુ પુછ્યું હતું પરંતું તેમણે કોઈ જવાબ નહી આપતા પરિવારજનોએ આવતીકાલે તેમને ડોક્ટરને બતાવવાનું પણ નક્કી કર્યું હતું.
દરમિયાન આજે સવારે દસ વાગ્યાના સુમારે તે ઘરેથી સાઈકલ લઈને નીકળ્યા હતા. તે વડોદરાથી વાસદ તરફ જતા હાઈવે પર મહીસાગર નદીના બ્રિજ પર ગયા હતા જયાં તેમણે સાઈકલ રોડ સાઈડમાં મુકી હતી અને બ્રિજની પાળી પર ચઢી તેમણે સીધી નદીમાં છલાંગ લગાવી હતી. આ દ્રશ્યને જોઈને રાહદારીઓએ બુમરાણ મચાવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બીજીતરફ રમણભાઈએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.