સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. ૫૯.૨૫ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગાંધીધામને જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ: ફાટકમુકત ગુજરાતની નેમ સાથે રેલ્વેઓવરબ્રિજ અને અંડરબ્રીજના ૩૦ કામો માટે રૂ. ૮૯૦ કરોડના પ્રોજેકટસને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ
અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ ૫૯.૨૫ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.
રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.
તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ ફ્લાય ઓવરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ ગાંધીધામ નગરને આપી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ૩૦ પ્રોજેકટ માટે રૂ. ૮૯૦ કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ ૭૮ કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ ૭૮ કરોડ રૂપિયા મળી સમગ્રતયા ૧પ૬ કરોડ રૂપિયાની જોગવાઇ ર૦ર૧-રરના વર્ષ માટે કરવામાં આવી છે.