ગુજરાત
News of Friday, 22nd October 2021

આણંદ-બોરસદ રોડ નજીક અંધારિયા ચોકડી પાસે બે બાઈકો સામસામે ભટકતા એકનું સારવાર દરમ્યાન મોત

આણંદ :આણંદ-બોરસદ-આંકલાવ રોડ ઉપર આવેલી અંધારીયા ચોકડી પાસે ગત ૧૭મી તારીખના રોજ બે બાઈકો સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્ટિલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર નાવલી અમર પોલ્ટ્રી ફાર્મમાં નોકરી કરતા ફરિયાદી રમેશભાઈ ભીખાભાઈ મકવાણા ગત ૧૭મી તારીખના રોજ સાથે નોકરી કરતા મિતેષભાઈ સુરેશભાઈ મકવાણા સાથે બાઈક નંબર જીજે-૨૩, ડીસી-૩૭૭૪નું લઈને વાંસખીલીયા ગામે જવા નીકળ્યા હતા. સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે અંધારીયા ચોકડીથી બોરસદ તરફ જવાના માર્ગ ઉપર જતા હતા ત્યારે બોરસદ તરફથી આવી ચઢેલા બાઈક નંબર જીજે-૨૩, એડી-૧૧૬૦ સાથે અથડાતા ત્રણેય જણા રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને માથામાં તેમજ શરીરના ભાગે ઈજાઓ થતાં આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મિતેષભાઈની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે તેનું અવસાન થયું હતુ. આ અંગે રમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)