અમીરગઢના ડાભેલામાં કપિરાજનો આતંક: સાત લોકોને બચકા ભરતા વનખાતાની ટીમે ભારે જહેમત બાદ પાંજરામાં પૂર્યો
અમીરગઢ: શહેરના ડાભેલા ગામે સાત લોકોને બચકા ભરનારો કપીરાજ અંતે પાંજરે પુરાયો છે. ગામલોકોએ વનખાતાને જાણ કર્યા બાદ તાંત્રિકની પણ મદદ લેવાઈ હતી. અંતે સાત કપીરાજ પાંજરે પુરાયા છે. જેમાં એક તોફાની કપીરાજ પણ હતો.
ડાભેલા ગામમાં આસપાસના જંગલ વિસ્તારમાંથી વાંધો આવી જતાં ખોરાક અને પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી રહેલા કપિરાજ બેબાકળો બનતા ગામમાં આતંક મચાવવાનું શરૃ કરતાં સાત જેટલા વ્યક્તિઓને શિકાર બનાવતા ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. વાંદરાના આવા આતંક સામે ઝઝુમી રહેલા ડાભેલાવાસીઓને બાળકોની ચિંતા સતાવતા વાંદરાને પકડવાનું અભિયાન શરૃ કરેલ હતું. પરંતુ તેમાં સફળતા ન મળતાં જંગલખાતાને જાણ કરતાં વનવિભાગ પણ આ દિશામાં નિષ્ફળ પ્રયાસો કરતાં વિફરેલા કપિરાજને કાબૂમાં લેવા માટે અંતે રાજસ્થાનના તાંત્રિકને બોલાવવામાં આવેલ હતો. બાદમાં સાત વાંદરાઓ પાંજરે પુરાયા હતા પરંતુ કપિરાજ છે કે નહી અંગે ગામલોકો વિમાસણમાં મુકાયા હતા. જ્યારે વનવિભાગ દ્વારા તમામ સાતેય વાંદરાઓને એક જ પાંજરામાં પુરતા એક વાંદરાએ બાકીના છ વાંદરાઓ ઉપર ઓચિંતો હુમલો કરતાં લોહીલુહાણ કરેલ હોવાથી હૂમલો કરનાર ખુંખાર વાંદરો આજ હોવાના અનુમાનો લગાવતાં હાલમાં ગામલોકો ભયમુક્ત જણાયા હતા.