ગુજરાત
News of Monday, 22nd October 2018

૪ કરોડ કિલોગ્રામ ઘાસચારો ખરીદવાનો સરકારનો નિર્ણય

૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયાઃ પહેલી ડિસેમ્બરથી સહાય : સરકારની જાહેરાતને પગલે રાજયના પશુપાલકમાં ભારે રાહતની લાગણી ફેલાઈ ગઈ

અમદાવાદ, તા.૨૨: રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયમાં અછતની પરિસ્થિતિ અને પશુપાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને મદદ કરવાના હેતુથી ચાર કરોડ કિલો ઘાસચારો ખરીદાશે અને આગામી તા.૧ લી ડિસેમ્બરથી રાજયના અછતગ્રસ્ત વિસ્તારોમાં તેની સહાય આપવામાં આવશે. સરકારની આ જાહેરાતને પગલે રાજયના પશુપાલકોમાં ભારે રાહતની લાગણી ફેલાવા પામી છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ મામલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. રાજયના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોનાં પાકને ઓછા વરસાદનાં કારણે નુકશાન થયું છે. પાક ઉગ્યા બાદ પાકનાં ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઓછાં વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલન માટે પણ મુશ્કેલીઓ સર્જાઇ છે. ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયાં છે. ૨૫૦ મિ.મીથી ઓછો વરસાદ થયો હોય તેવાં તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જો કે મહત્વનું છે કે પશુપાલકોને મદદ કરવા માટે સરકારે અગાઉથી આયોજન કર્યુ હતું. જેથી આ મામલે રાજ્ય સરકાર ઘાસની ખરીદી કરશે. સરકારે ૪ કરોડ કિલો ઘાસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આ ઘાસ કિલો દીઠ રૂ.૧૧થી રૂ.૧૪નાં ભાવે ખરીદવામાં આવશે. સરકારના સત્તાવાળાઓ અને અધિકારીઓને રાજયના અનેક વિસ્તારોમાંથી અછતગ્રસ્ત જાહેર કરવાની રજૂઆતો મળી છે. અછતગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા રૂ.૨ પ્રતિ કીલોનાં ભાવે ઘાસ અપાય છે. અછતગ્રસ્ત વિસ્તારમાં તા.૧ લી ડિસેમ્બરથી સહાય અપાશે. પાક સુકાઈ ગયા હોય તેવાં ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.૬૮૦૦ની મદદ કરાશે. અત્યાર સુધી ૧૨૫ મિમીથી ઓછો વરસાદ થયો હોય તેવાં તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાતાં બે હેકટર માટે જ મદદ કરવામાં આવશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા બનાવાશે કે જ્યાં ૨ મહિનાની મદદ કરાશે. મોટા પશુદીઠ ૭૦ રૂપિયા લેખે મદદ કરવામાં આવશે. નાના પશુદીઠ ૩૫ રૂપિયા મદદ કરવામાં આવશે. સરકારે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ઉપરોકત રાહતકર્તા નિર્ણય લીધો છે.

(9:36 pm IST)