બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલો ચગ્યો :નોટિફિકેશન ઇસ્યુ કરવાની સતા કેન્દ્ર પાસે :રેલવેએ હાઇકોર્ટમાં કર્યું સોગંદનામું
અમદાવાદ :બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિવાદ ચગ્યો છે ત્યારે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન તેમજ ભારતીય રેલવેએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલ સોગંદનામામાં ભારતીય રેલવેએ સ્વીકાર્યું છે કે જમીન સંપાદન માટેનું નોટિફિકેશન ઇશ્યુ કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે.
અગાઉ રાજ્ય સરકારે જમીન સંપાદન માટે કરેલા નોટિફિકેશનને કેન્દ્ર સરકારે પોતાની સંમતિથી થયેલ નોટિફિકેશન ગણાવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્ય સરકારના જમીન સંપાદન માટેની કેન્દ્ર સરકારની સંમતિ પાછલી અસરથી હતી તે મતલબનું નોટિફિકેશન કરવામાં આવ્યું.
આ ઉપરાંત રેલવેએ સોગંદનામામાં દાવો કર્યો છે કે નોટિફિકેશન કોઇ બદઇરાદાથી બહાર પાડવામાં આવ્યું નથી. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઘણો મહત્વનો છે. બે દેશ વચ્ચેના આ પ્રોજેક્ટને લઇને આંતરરાષ્ટ્રીય ટ્રીટી પણ કરવામાં આવી. મહત્વના પ્રોજેક્ટની કામગીરીમાં કોઈ કાયદાકીય કચાશ ન રહે તે માટે આ પગલું લેવાયું છે.