વડોદરા નજીક ફાજલપુરમાં નદીના કિનારે અંતિમવિધિ કરવા આવેલ શખ્સોએ મૃતદેહ અડધો છોડી દઈ રવાના થઇ જતા ગ્રામજનોમાં રોષની લાગણી
વડોદરા:શહેર નજીક આવેલા ફાજલપુર ખાતે મહિસાગર નદીના કિનારે અંતિમવિધિ કરવા માટે આવતા ડાઘુઓ મૃતદેહો સંપુર્ણપણે બળી જાય તેની રાહ જોયા વિના રવાના થઈ જતા નદી કિનારે કેટલીક વાર અર્ધબળેલા મૃતદેહો પડી રહે છે. મૃતદેહો પડી રહેતા આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતી હોય તેમજ કેટલીક વાર કુતરાઓ શરીરના અંગો ખેચીને રહેણાંક વિસ્તારમાં લઈ જતા હોઈ ગ્રામજનોની લાગણી દુભાઈ રહી છે.
શહેરની નજીક ફાજલપુર ખાતે મહિસાગર નદીમાં વર્ષ દરમિયાન અનેક શ્રધ્ધાળુઓ નદીમાં સ્નાન કરવા તેમજ નદી કિનારે આવેલા મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત ફાજલપુર સહિત આસપાસમાં આવેલા પદમલા, દશરથ, સાંકરદા, રણોલી,રાયકા,દોડકા, નંદેસરી,રૃપાપુરા, અનગઢ, ધનોરા, કોયલી અને બાજવા સહિતના ગ્રામજનો નદી કિનારે મૃતકોની અંતિમવિધિ તેમજ મરણોત્તર ક્રિયા કરવા માટે પણ જતા હોય છે.