અમદાવાદના વાડજમાં ઘરમાં ઘુસી યુવકોને લાકડાંથી ફટકા મારનાર વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ:વાડજમાં બાઈક ઝડપથી ચલાવવા બાબતના ઝઘડામાં ત્રણ શખ્સોએ અન્ય ૨૦થી ૨૫ જણા સાથે તેમની જ સોસાયટીમાં રહેતા યુવકોના ઘરમાં ઘુસીને લાકડીઓથી ઢોર માર માર્યો હતો. બાદમાં આરોપીઓ ઘરમાં તોડફોડ કરીને ભાગી ગયા હતા. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટમાં અક્ષય સંઘાણી (૨૧) તેના ભાઈ અને મિત્રો સાથે ભાડેથી રહે છે અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે.
૨૦ ઓક્ટોબરના રોજ અક્ષય સાથે રહેતા તેના કાકાના દિકરા કૌશિકે અક્ષયને ફોન કરીને કહ્યું હતું કે ઝડપથી બાઈક ચલાવવા બાબતે તેને એક ભાઈ સાથે બોલાચાલી થઈ છે. આથી અક્ષય ઘરે આવ્યો હતો. તે સમયે તેનો નાનો ભાઈ ચિંતન, મિત્ર મિત ત્રાડા, કૌશિક અને રૃત્વિક ત્રાડા હાજર હતા.
દરમિયાન શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા જૈનમ પરીખ, આયુષ જાની, સુ્રજલ ચૌહાણ તથા અન્ય ૨૫થી ૩૦ જણા હાથમાં લાકડીઓ સાથે અક્ષયના રૃમ પર આવ્યા હતા. તેમણે અમારી સાથે રોડ પર ઝઘડો કેમ કર્યો હતો, બહુ મોટા દાદા થઈ ગયા છો ? એમ કહીને કૌશિક, મિત અને યશને લાકડીઓથી ઢોર માર માર્યો હતો. ઉપરાંત રૃમના બારી બારણાની તોડફોડ કરી હતી.
આરોપીઓએ રૃમનો સામાન વેરવિખેર કરીને યુવકોને લાતો અને ફેંટોથી માર માર્યો હતો. જેમાં કૌશિકને હાથમાં ફ્રેકચર થયું હતું. બાદમાં આ શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.