ખંભાત નજીક વાછરડાની છોડી કરનાર શખ્સ પોલીસના સકંજામાં
ખંભાત:નજીક આવેલા કંસારી ઓએનજીસી ગેટ પાસેથી વાછરડો ચોરીને જતા એક શખ્સને પશુપાલકોએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો જ્યાં તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર ખંભાતના રબારીવાસમાં રહેતા ભગાભાઈ પ્રભાતભાઈ રબારી પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ પોતાના પશુઓ લઈને આંબાખાડ વિસ્તારમાં ચરાવવા માટે ગયા હતા અને સાંજના પાંચેક વાગ્યાના સુમારે પરત ફર્યા હતા. ત્યારે તેમનો એક વાછરડો મળ્યો નહોતો. જેથી પિતરાઈ ભાઈ કનુભાઈ લાલજીભાઈ રબારી સાથે શોધવા નીકળ્યા હતા. દરમ્યાન કંસારી ઓએનજીસી ગેટ પાસે એક શખ્સ આ વાછરડાને દોરડું બાંધીને જતો મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે વિષ્ણુભાઈ રણછોડભાઈ વાઘરી હોવાનું ખુલવા પામ્યું હતુ.
તે વાછરડાની ચોરી કરીને લઈ જતો હોય તુરંત જ ખંભાત શહેર પોલીસને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને વિષ્ણુભાઈ વાઘરીની ધરપકડ કરી આ વિસ્તારમાંથી બીજી કોઈ પશુ ચોરી તો કરી નથીને જેવી બાબતોની તપાસ હાથ ઘરી છે.