ગુજરાત
News of Monday, 22nd October 2018

રાકેશ અસ્થાના સામે આખરે એફઆઇઆર દાખલ કરાઈ

સીબીઆઇ ઉપરાંત પોલીસ બેડામાં ખળભળાટ :મીટ કારોબારી કુરેશીના કેસને બંધ કરાવવાના બદલામાં રાકેશ અસ્થાનાએ બે કરોડની લાંચ લીધા હોવાનો આરોપ

અમદાવાદ, તા.૨૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુ મનાતા અને ગુજરાત કેડરના આઇપીએસ ઓફિસર અને હાલ સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર એવા રાકેશ અસ્થાના વિરૂધ્ધ આખરે રૂ. બે કરોડ રૂપિયાની લાંચના ચકચારભર્યા કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા ૧૬ બિઝનેસમેનની પૂછપરછ માટે સીબીઆઇની ટીમ વડોદરા આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાણીતા મીટ કારોબારી મોઇન કુરેશીના કેસનો બંધ કરાવવાના બદલામાં સીબીઆઇના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ રૂ.બે કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં સીબીઆઇ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દેશની ઇન્ટેલિજેન્સ એજન્સી રોના સ્પેશ્યલ ડાયરેક્ટર સમંશ્કુમાર ગોયલનું નામ પણ સામેલ છે. એવીડેન્સ એકટની કલમ-૧૬૪ પ્રમાણે સીબીઆઇએ મેજિસ્ટ્રેટ સમક્ષ ટેલિફોનિક વાતચીત, વોટ્સએપ મેસેજ, મની ટ્રેલ અને સ્ટેટમેન્ટ રજૂ કર્યા છે. આ ફરિયાદ બાદ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા સમરજીતસિંહ ગાયકવાડ, પિયુષ શાહ સહિતના ૧૬ બિઝનેસમેનની પૂછપરછ માટે સીબીઆઇની ટીમ વડોદરા આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્નમાં કોણ કોણ મહેમાન હતા, કેટલો ખર્ચ થયો સહિતની વિગતો સીબીઆઇની ટીમે મેળવી હોવાની માહિતી મળી રહી છે. ચર્ચિત માંસનો વેપારી મોઇન કુરેશી હવાલા દ્વારા દુબઇ, લંડન અને યુરોપના અન્ય શહેરોમાં પૈસા મોકલવાનો આરોપ છે. ઇડીએ દરોડા દરમ્યાન કેટલાક દાગીના અને લેવડ-દેવડના શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કર્યા  હતા. આ આધારે ઇડીએ સંબંધિત ટ્રાન્ઝેક્શનની વિસ્તૃત માહિતી અનેક અન્ય દેશો પાસે માંગી હતી. કુરેશી પર હવાલા દ્વારા રૂ. ૨૦૦ કરોડ વિદેશમાં મોકલવાનો આરોપ છે. કુરેશી ૨૦૧૧થી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર હતો. પરંતુ તેના વિરૂદ્ઘ પહેલી વખત ૨૦૧૪મા કાર્યવાહી કરાઇ હતી. મૂળ કાનપુરનો રહેવાસી મોઇન કુરેશી મીટ કારોબાર દ્વારા અબજોપતિ બન્યો. રાજકારણમાં તેની સારી એવી પકડ છે. યુપીના રામપુરમાં તેણે શરૂઆતમાં એક નાનુ કતલખાનુ ખોલ્યું અને થોડા જ સમયમાં તે દેશનો સૌથી મોટો માંસનો કારોબારી બની ગયો હતો. કુરેશીની દેશ-વિદેશમાં અનેક કંપનીઓ છે. તેની એએમક્યુ નામની કંપની માંસની નિકાસ કરે છે.  ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના આજથી એક વર્ષ પહેલા જ સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર તરીકે નીમાયા હતા. તેઓ સુરત શહેરમાં સૌથી વધુ સમય માટે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર હતા. જેઓને ગયા વર્ષે પ્રમોશનની નિમણુંક સાથે સીબીઆઇના સ્પેશ્યલ ડીરેક્ટર બનાવવામાં આવ્યા હતા. રાકેશ અસ્થાના ૧૯૮૪ બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ, લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ, વિજય માલ્યા લોન ડિફોલ્ટ જેવા કેસોની તપાસ ચલાવી રહ્યા હતા. કેંદ્રમાંથી પ્રતિનિયુક્તિ પછી ગુજરાત પરત આવ્યા બાદ, સાબરમતી ટ્રેન હત્યા કાંડની તપાસ તેમને સોંપવામાં આવી હતી. ત્યારબાદ તેમને વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકેનું મલાઈદાર પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું અને પછી તેમણે સુરતના પોલીસ કમિશનરબનાવવામાં આવ્યા હતા. જો કે, વડાપ્રધાન મોદીના અંગત વિશ્વાસુ હોવાછતાં રાકેશ અસ્થાના વિરૂધ્ધ સીબીઆઇએ દાખલ કરતાં સીબીઆઇ સહિત સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(7:54 pm IST)