વડાલી તાલુકામાં ખેતરમાં કપાસના સુકારાનો રોગ આવતા ખેડુતો ચિંતિત બન્યા
વડાલી: તાલુકાના ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી મોટાભાગની ખેતીલાયક જમીનમાં કપાસનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.ચાલુસાલે પણ ખેડુતોએ મુલ્યવાન બિયારણો બજારમાંથી ખરીદી કપાસનું મોટાપાયે વાવેતર કર્યું હતું.જે પાકમાં ખેડાણ,જંતુનાશક દવાઓ તેમજ ખાતરો નાખી મહામહેનતે કરી પાકને પરિપક્વ બનાવ્યો હતો.પરંતુ તાલુકામાં મેઘરાજાએ મેઘમહેર ન કરતા જમીનમાં પાણીના સ્તર નીચા જતા પિયત કરવું મુશ્કેલ બનતા ચોમાસુ પાકોને લઈ ખેડુતો ચિંતાતુર બની ગયા હતા ત્યાંજ છેલ્લા કેટલાક દિવસોથી કપાસનો પરિપક્વ બનેલા પાકમાં એકાએક સુકારાનો રોગ આવતા ઉભા છોડ જીંડવા સાથે સુકાવા લાગ્યા છે. જે રોગ ગણતરીના દિવસોમાં આખા ખેતરમાં ફેલાઈ જતા ખેતરોના ખેતરમાં ઉભોપાક સુકાવા લાગ્યો છે.જે રોગમાં મુલ્યવાન જંતુનાશક દવાઓનો છટકાવ કરવા છતાં કાબુમાં ન આવતા પાકની સોથવળતા મોં માં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતો ચિંતાતુર બની ગયા છે.એકતરફ નહીંવત વરસાદનો માર અને બીજી તરફ ખર્ચ તેમજ મહામહેનતથી પરિપક્વ બનાવેલા પાકનો રોગ નાશ કરતા મોટા નુકસાન થયુ છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સર્વે કરી થયેલા નુકસાનનુ વળતર આપવા ખેડુતો ઉગ્ર માંગ કરી રહ્યા છે.