ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં, આવા તત્વો ચેતી જાય, અમે કોઇને છોડશું નહીં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રસ્તે ચાલીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વ્યથાને વ્યવસ્થામાં ફેરવવાનું કાર્ય કર્યું

અમદાવાદ :ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજ્યમાં પ્રવર્તિ રહેલ શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.

 ગુજરાત વિધાનસભા ખાતે આજે પાસાના કાયદામાં સુધારો કરતું સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી જાડેજાએ કહ્યું કે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટીવત નેતૃત્વ અને દિર્ઘપૂર્ણ આયોજનના પરીણામે રાજ્યમાં આજે કોઇપણ અસામાજીક તત્વોને ગુનો કરવો હોય તો સો વાર વિચાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રસ્તે ચાલીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વ્યથાને વ્યવસ્થામાં ફેરવવાનું કાર્ય કર્યું છે. આવા તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સુધારા વિધેયક લવાયું છે.

 મંત્રીએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સુધારા વટહુકમ નામંજૂરના પ્રસ્તાવને કડક શબ્દોમાં વખોડતા કહ્યું હતુ કે, તમારે તમારો ભૂતકાળ યાદ કરવો જોઈએ, અમે વ્યાજખોરો, બળાત્કારીઓ, જુગારીઓ,  સાઈબર ક્રાઈમ કરતા તત્વો સહિતના અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા આ સુધારા વિધેયક લાવ્યા છીએ ત્યારે કોંગ્રેસ આવા તત્વોને બચાવવા કેમ માંગે છે એ અમને સમજાતુ નથી. કોંગ્રેસનો એજન્ડા વ્યાજખોરો તરફી છે કે સામે છે તે નક્કી કરે. સટ્ટા અને જુગારમાં અનેક પરિવારો બરબાદ થયા છે. એટલું જ નહીં વ્યાજખોરોની કડક ઉઘરાણીને કારણે કેટલાય પરિવારના મોભીએ આત્મહત્યા કરવા પ્રેરાય છે તે તમામના રક્ષણ માટે આ સુધારા વિધેયક અમે લાવ્યા છીએ. અગાઉ પણ અમારી સરકારે યુવાનોને નશાખોરીની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે દારૂબંધીનો કડક કાયદો લાવ્યા અને હુક્કાબાર પર રાજ્યમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. તે ઉપરાંત ચેઈન સ્નેચિંગ ઘટાડવા તથા ગૌવંશ હત્યા કરતા કસાઈઓ બેફામ ન બને તે માટે પણ કડક કાયદા અમે બનાવ્યા છે. એ માત્રને માત્ર અમારી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના પરિણામે જ શક્ય બન્યુ છે.

    નોંધનીય બાબત છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર સૌથી ઓછા ક્રાઈમ રેટ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાંતિ-સલામતિ જળવાય રહે અને નાગરિકો ચિંતામુક્ત થઈ જીવન જીવી શકે એ જ અમારી સરકારની પ્રાથમિકતાજ છે. કોંગ્રેસના શાસનકાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા વેળાએ સમગ્ર રાજ્યમાં પોલીસ મૂકવી પડતી હતી. બુલેટપ્રૂફ રથ નિકાળવો પડતો હતો, છુરાબાજી થતી હતી જેને પગલે રાજ્યની પ્રજા ડરના ઓથાર હેઠળ જીવતી હતી. જવામર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે બેઠા હતા ત્યારથી રાજ્યના કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી. વડાપ્રધાનના Visionary leadership હેઠળ ગુજરાતે કોમવાદ સામે Zero Toleranceની નીતિ અપનાવી અને આદર્શ પોલીસ વ્યવસ્થાના માધ્યમથી તોફાની તત્વોને ઓળખી કાઢી તેમની સામે કડક પગલાં લઇને સમાજમાં કાયદાના શાસનની સ્થાપના કરી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની ઉતમ સ્થિતિને કારણે જ ગુજરાતમાં વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ રોકાણ માટે આવે છે. એટલે જ સૌથી વધુ રોજગારી આપતુ એકમાત્ર રાજ્ય ગુજરાત છે જે ગુજરાતની શાંતિ-સલામતિના કારણે જ શક્ય બન્યું છે.

 મંત્રીએ ઉમેર્યુ કે, વર્તમાન ટેકનોલોજીના યુગમાં હાઈ-ફાઈ ગુનેગારો વાઈ-ફાઈની મદદથી ગુનાઓ આચરતા થયા છે ત્યારે સાયબર ક્રાઈમના અપરાધીઓ ગુજરાતની પ્રજાને લૂંટતા રહે અને સરકાર જોતી રહે તેવી આ સરકાર નથી. ટેક્નોલોજીના વધતાં ઉપયોગ અને તેના વ્યાપના કારણે ગુનાહિત માનસિકતા વાળા વ્યક્તિઓ હવે આ ડિજિટલ માધ્યમથી છેતરપીંડી જેવા અનેક ગુનાઓ આચરતા થયા છે. આ ટેક્નોલોજીની યાંત્રિક સમજ ન હોવાથી લોકો બહુ જ ઝડપથી સાયબર ક્રાઇમનો ભોગ બને છે. પરિણામે હવે ઓનલાઇન ઠગાઇ, Digital Transactions માં છેતરપીંડી, સોશ્યીલ મીડિયાનો દૂર ઉપયોગ અને બેકીંગ ફ્રોડ જેવા અનેક પ્રકારના નવા ગુનાઓ બની રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા આવા તત્વોને પકડી પાડવા તથા નિયંત્રણમાં લેવા અદ્યતન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું માળખું ઉભું કરવા સહિતના અનેક પગલાંઓ લીધા છે.  

 મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર આવા ગુનાઓ અંગે ચિંતિત છે અને કોઇ પણ સંજોગોમાં નાગરિકોને આવા ગુનાઓ સામે રક્ષણ આપવા માટે કટિબધ્ધ છે. એટલા માટે પોલીસ વિભાગમાં સી.આઈ.ડી.(ક્રાઈમ)ના નેજા હેઠળ રાજય સરકારે સાયબર ક્રાઇમ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનોની સ્થાપના કરી છે. હાલમાં સી.આઇ.ડી. ક્રાઇમના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સિવાય તમામ રેન્જમાં રેન્જ કક્ષાના કુલ-૯ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવેલ છે. આ માટે ટેકનોલોજીકલ એક્ષપર્ટ સહિતના કુલ-૮૨૨ કર્મચારીઓનું મહેકમ પણ ફાળવવામાં આવેલ છે. તમામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન/સેલને રૂ.૯.૩૪ કરોડના ખર્ચે અધ્યતન સાયબર લેબ બનાવી આપવામાં આવેલ છે.

 

મંત્રીએ કહ્યું કે પાસા કાયદા હેઠળ ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની જોગવાઇ પ્રવર્તમાન કાયદામાં છે. પ્રવર્તમાન પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તેમાં આઇ.પી.સી., તથા આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ આચરનાર વ્યક્તિ, ભયજનક હોય તેવો વ્યક્તિ, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવો પ્રોપર્ટીગ્રેબર વ્યક્તિ, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલ હોય તેવો ડ્રગ ઓફેન્ડર વ્યક્તિ, દેહવિક્રયમાં જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગુનેગાર, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર બુટલેગર જેવા વ્યક્તિઓને વિરુધ્દ્ધ પાસા કાયદાની જોગવાઇઓનો ઉપયોગ કરીને અટકાયતમાં લઇ શકાય છે. પરંતુ પાસાની જોગવાઇઓના વ્યાપને વિસ્તારીને, પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીને લગતા તથા જાતીય સતામણી જેવા ગુનાઓનું પ્રમાણ આજે જ્યારે વધી રહ્યું છે, ત્યારે આવા ગુનાઓને ડામવા માટે આ સુધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે ‘જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ આવરી લેવાયા છે. જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં દોષિત ઠરી હોય અને એવી રીતે દોષિત ઠર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર પોતે અથવા ટોળીના સભ્ય કે સરદાર તરીકે ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશીશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ સામે પગલા લેવામાં આવતા હતા. આ સુધારાના કારણે હવે ‘જાહેર જુગારના અડ્ડાનો હવાલો  ધરાવનાર વ્યક્તિ’ ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ  શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયાસ કરે અથવા કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ ગુનેગાર ગણાશે.

 

જાડેજાએ ઉમેર્યું કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત આ કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારને વ્યાખ્યાઇત કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા વિ,. હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો સમાવેશ કરાયેલ છે. 

મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગીરી કરે તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

 તેમણે કહ્યું કે પાસા કાયદા હેઠળ ‘ભયજનક વ્યક્તિ’ને વ્યાખ્યાઇત કરેલ છે જે અનુસાર વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે, મદદગારી કરે તે વ્યક્તિ આ સુધારાથી હાલની કલમમાં સુધારો કરાયો છે. જેમાં ‘ભયજનક વ્યક્તિ’ એટલે એ વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે કે મદદગારી કરે તે વ્યક્તિ સામે પગલા લેવાશે. 

મંત્રીએ ઉમેર્યું કે પ્રવર્તમાન કાયદાની હાલની પેટા કલમમાં દારુનો ગેરકાયદે ધંધો કરનાર, જુગારનો અડ્ડો ચલાવનાર, ક્રુર વ્યક્તિ, ભયજનક વ્યક્તિ, ઔષધ ગુનેગાર, અનૈતિક વ્યાપાર ગુનેગાર, મિલ્કત પચાવી પાડનાર, જાહેર વ્યવસ્થા જાળવી રાખનારને પ્રતિકુળ અસર કરનાર કે તેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલ હોય અથવા તેમાં રોકાવા માટે તૈયારી કરતી હોય ત્યારે આવી વ્યક્તિ, ‘જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને બાધ આવે તેવી રીતે કામ કરે છે’ તેમાં સુધારો કરીને સાયબર ગુનો કરનાર, અથવા નાણાની ધીરધાર સંબંધી ગુનો કરનાર અથવા જાતીય ગુનો કરનાર વ્યક્તિઓને પણ સમાવી લેવામાં આવેલ છે

 મંત્રીએ કહ્યું કે પાસા એક્ટના આ કાયદામાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ જોઇએ તો પ્રવર્તમાન સંજોગોમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ અને મોડસ ઓપરેન્ડી બદલાતી રહી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના આધુનિક યુગમાં આ નવી ટેકનોલોજી લોકોને ઘણી જ મદદરૂપ રહી છે અને તેના કારણે લોકોની જીવનશૈલીમાં પણ ખુબજ સુધારો થયો છે. પરંતુ તેની વિપરીત અસરોના કારણે સાયબર ક્રાઇમ સહિતના અન્ય ગુનાઓનો વ્યાપ વધતો અટકાવવા આ સુધારો કરવાનો નિર્ણય કરાયો છે.

તેમણે કહ્યું કે રાજ્યનો સામાન્ય નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને છે. સાયબરના ગુનાઓથી થતી છેતરપીંડીમાં આમ નાગરિકને બહુ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનું આવે છે. સાયબર ક્રાઇમ એ એક વિશ્વવ્યાપી ગુનાહિત પ્રવૃત્તિ છે. સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે આઇ.ટી. એક્ટમાં આરોપીઓને સજા કરવાની જોગવાઇઓ છે. પરંતુ ગુનાની મોડસ ઓપરેન્ડી વિવિધ પ્રકારની હોવાથી ગુનાની તપાસથી શરૂઆત કરીને ન્યાયાલયમાં આખરી ચુકાદા મેળવવામાં સમય લાગી જાય છે. આ પરિસ્થિતિમાં ગુનો આચરનાર વ્યક્તિ આવા ગુના કર્યા પછી અને આવા ગુનાઓ ધ્યાને આવ્યા બાદ ફરીથી અન્ય કોઇને તેની જાળમાં ન ફસાવે તે માટે પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કામગીરી ચાલે તે દરમ્યાન તેને અટકાયતમાં લઇ લેવાથી સમાજના નિર્દોષ લોકો તેના ગુનાનો શિકાર બનતા અટકશે. આથી હાલના કાયદામાં સાયબર ક્રાઇમની  કેટેગરી ઉમેરવામાં આવી રહી છે.

જાડેજાએ ઉમેર્યું કે મહિલાઓ અને બાળકો ઉપર થતા જાતિય ગુનાઓ માટે આઇ.પી.સી.ની કલમ ૩૫૪, ૩૭૬ અને ૩૭૭માં આરોપીને શિક્ષા કરવાની જોગવાઇ છે. આઇ.પી.સી.ની કલમ ૩૭૬ની જોગવાઇઓને તાજેતરમાં વધારે કડક બનાવી છે. પાસા કાયદાની હાલની જોગવાઇ પ્રમાણે જાતિય ગુના આચરનાર વ્યક્તિની ‘ભયજનક વ્યક્તિ’ ની કેટેગરીમાં અટકાયત થઇ શકે છે. પરંતુ સાંપ્રત સમયમાં જાતિય ગુનાએા એ સમાજ માટે આંખ ખોલનારી બાબત બની રહ્યા છે. આવા ગુનેગારોને સામાન્ય કાયદા હેઠળ સજા અપૂરતી જણાતા કેન્દ્ર સરકારે તેમાં ખાસ સુધારા કર્યા છે અને કાયદો વધારો કડક બનાવ્યો છે ત્યારે આવા જધન્ય ગુના આચરનાર તત્વો જામીન ઉપર છુટીને ફરી તેમની ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનાહિત માનસીકતા ચાલુ રાખીને સમાજમાં એક દુષણરૂપ બની ન રહે તે માટે તેઓને જેલના સળીયા પાછળ રાખવા અત્યંત જરૂરી છે અને આ માટે હાલના કાયદામાં સુધારો કરીને એક નવી કેટેગરી ‘જાતિય ગુનેગાર ’ ઉમેરવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે.

  વર્તમાન પરિસ્થિતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાનું દૈનિક જીવન ધોરણ ટકાવી રાખવા તેમજ સામાજીક પ્રસંગોપાત ક્યારેક એવા સંજોગો ઉભા થાય છે કે ખાનગી સંસ્થા / વ્યક્તિઓ પાસેથી તેને પૈસા ઉછીના લેવા પડે. આ રીતે નાણા ધીરધારની પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખવા માટે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અમલમાં છે જ. આ એક્ટની જોગવાઇ મુજબ કોઇપણ વ્યક્તિ નાણા ધીરધારની પ્રવૃત્તિ કરી શકે છે. પરંતુ કેટલાક અસામાજીક તત્વો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની આર્થિક લાચારીનો લાભ લઇ ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધીરીને અને ત્યારબાદ આવા નાણા અને તેના વ્યાજની વસુલાતના નામે પરિવારોને ધાકમાં લેવાની તથા તેમ કરીને તેમના ઉપર આર્થિક, માનસીક તેમજ શારીરીક અત્યાચાર કરે છે. આવા અસામાજીક લોકોને જેને આપણે સામાન્ય ભાષામાં વ્યાજખોર (loan shark) તરીકે ઓળખીયે છીએ. રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે આ બદી છેલ્લા થોડા સમયથી ફુલીફાલી છે તેવી બાબત સરકારના ધ્યાન પર આવેલ છે. જેને નિયંત્રણમાં લેવા અને મધ્યમવર્ગી પરિવારોને સહાયરૂપ થવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ તેમણે ઉમેર્યું છે.

 

(૧) જૂની જોગવાઇમાં સુધારો  

આરોપીનો પ્રકાર

અગાઉની જોગવાઇ

સુધારો

જુગારનો અડ્ડો ચલાવનાર

કલમ-૨ (ખખ)

જુગારના ગુનામાં દોષિત ઠરે અને બાદમાં ત્રણ વર્ષની અંદર ફરી ગુનો કરે

જુગાર ધારાની કલમ-૪ પ્રમાણે જુગારના અડ્ડા ચલાવનાર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ભયજનક વ્યક્તિ

(શરીર સંબધી/મિલ્કત સંબંધી / હથિયાર ધારા ના ગુનાઓ)

કલમ-૨ (ગ)

IPC ના પ્રકરણ -૧૬ અથવા ૧૭,  તથા Arms Act નો ગુનો

IPC ના પ્રકરણ -૮ તથા પ્રકરણ -૨૨નો ઉમેરો

પહેલાં ખાલી શરીર/મિલ્કત સંબંધી ગુનાઓ હતા. હવે ધાક-ઘમકી અને જાહેર સુલેહ શાંતિને ભંગ અંગેના ગુનાઓનો ઉમેરો

 

 (૨) નવી કલમો/જોગવાઇઓનો ઉમેરો.

નવી કલમ

આરોપીનો પ્રકાર

વિવરણ

કલમ-૨ (ખક)

Cyber Offendera

Information Technology Act ના પ્રકરણ-૧૧ હેઠળનો આરોપી

કલમ-૨ (જક)

Money Lending Offender

(વ્યાજખોર/Loan Shark)

Money Lender’s Act ના પ્રકરણ-૯ હેઠળનો આરોપી

કલમ-૨ (ઝક)

મહિલા/બાળ અત્યાચારના ગુનાઓ  કરનાર (Sexual Offences)

છેડતી, બળાત્કાર જેવા ગુનાઓ તથા POCSO Act ના ગુનાઓ

 

 

(10:27 pm IST)