ગુજરાત
News of Tuesday, 22nd September 2020

૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો : અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના સંજોગોમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારનું મન ખુલ્લું છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર,તા.૨૨ : વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજનાના ટૂંકી મુદતના પ્રશ્નમાં સહભાગી થતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ  જ ભાવનાથી જાહેર કરાઇ છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે. SPRFમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે, આપત્તિના સમયે પ્રામાણિકતાથી ખેડૂતોની પડખે ઊભું રહેવું એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. છેલ્લાં ૨૫ થી ૩૦ વર્ષમાં રાજ્યના કિસાનોના હિતમાં ખરીફ સિઝન દરમિયાન આપદા આવી હોય એવે વખતે અગાઉની કોઇ સરકારે મદદ ન કરી હોય એવી મદદ અમારી સરકારે કરી છે. ભૂતકાળમાં સરકારોએ ખેડૂતોને ઇશ્વરના ભરોસે છોડી દીધા હતા અમે એમની પડખે ઊભા છીએ. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજ્યના ૫૬ લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. એમ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને લાભ આપવામાં આવશે. ફળદુએ ઉમેર્યુ કે, આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. અમુક ઋતુમાં થયેલ પાક નુકસાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે પ્રતિ હેક્ટર રૂા.૨૦ હજાર લેખે વધુમાં વધુ ૪ હેક્ટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે ૬૦ ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂા.૨૫ હજારની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેક્ન એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(9:12 pm IST)