સાબરમતી કિનારે સી પ્લેન યોજના લોન્ચીંગની પૂરજોશમાં તૈયારીઃ જેટીનું કામ પૂર્ણતાના આરેઃ હવે ગેંગ વે બ્રિજનું કામ શરૂ
અમદાવાદ: 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન નર્મદા જવા ઉડાન ભરશે. ત્યારે તેને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર ફ્લોટીંગ જેટી ગોઠવ્યા બાદ ત્યાં સુધી પહોંચવા માટે હવે ગેંગ વે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેના માટે કામગીરી જોરશોરથી કરવાં આવી રહી છે. બે બ્રિજને ખાસ યુએઈથી મુન્દ્રા બંદરે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ એજ બ્રિજ છે, જેના મારફતે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જેટી સુધી પહોંચશે. અને ત્યાંથી સી પ્લેનમાં બેસી કેવડિયા સુધીની ઉડાન ભરશે. હાલ તેને લઈ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સાંકળ દ્વારા જેટીને ચારેતરફથી બાંધવામાં આવશે
રિવરફ્રન્ટથી સી-પ્લેનના શરૂઆત પહેલા જેટીનું કામ યુદ્ધધોરણે ચાલી રહ્યું છે. ચંદ્રનગર બ્રિજ (આંબેડકર બ્રિજ) નીચે જેટી લગાવવાનો ફાઇનલ માર્કિંગ કરવામાં આવ્યું હતું. 15000 કિલોના એન્કર નાખવામાં આવ્યા હતા. આ એન્કરને મજબૂત લોખંડની સાંકળ સાથે બાંધીને સાબરમતી નદીમાં નાખવામાં આવ્યા હતા. સાંકળ દ્વારા જેટીને ચારેતરફથી બાંધવામાં આવશે. જેથી જો સાબરમતી નદીમાં પાણી વધશે કે ઘટશે તો પણ જેટી પાણીના લેવલ અનુસાર ઉપર નીચે કરી શકાશે. જેટી પર પહોંચવા ગેંગ-વે પણ બનાવવામાં આવી રહ્યો છે. જેટીના માધ્યમથી આરામથી સી-પ્લેનની સવારી કરી શકાશે.
અમદાવાદના 5 બ્રિજ પર ફાયર સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. એક જેટીની 9 મીટર પોહળાઈ 24 મીટર લંબાઈ છે. અને બધી જ જેટીનું કુલ વજન 102 ટન છે. મરીન ટેક ઈન્ડિયાના એમડી ગૌતમ દત્તાએ જણાવ્યું કે, અમે ટર્મિનલ તૈયાર કરી રહ્યા છીએ. અમારી કંપની ફિનલેન્ડમાં છે, અમારી કંપની સી પ્લેન પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. અહીં હાલ 6 જેટી લાવવામાં આવી છે, જેને નદીમાં જોડવામાં આવશે.
અમદાવાદીઓએ ટૂંક સમયમાં જ સી પ્લેન મળશે. સી પ્લેનને કારણે કનેક્ટિવી અને પ્રવાસનક્ષેત્રે ફાયદો થશે. દેશનું સૌથી પહેલી સી પ્લેન ગુજરાતમાંથી શરૂ થવાનું છે. ત્યારે સી પ્લેનની પ્રથમ ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની રહેશે. પીએમ મોદી 31 ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનમાં જશે.